Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

બેંકો પર સાઇબર હુમલાનું જોખમઃ સતર્ક રહેવાની ચેતવણી

સાઇબર ક્રાઇમમાં થઇ રહેલા વધારાને પગલે

નવી દિલ્‍હી,તા. ૧૯: સાઇબર ક્રાઈમમાં થઈ રહેલા વધારાને પગલે સામાન્‍ય જનતાની સાથે બેંકો ઉપર પણ સાઇબર હુમલા થવાનું જોખમ છે. આ મુદ્દે તાજેતરમાં દેશની કેન્‍દ્રીય રિઝર્વ બેંકે કેટલીક ભારતીય બેંકોને વધતા સાઇબર જોખમને લઈ ખાસ એલર્ટ કરી છે અને આ અંગે સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે.

આગામી દિવસોમાં ભારતની અમુક બેંકોમાં સાઇબર હુમલામાં વધારો થઈ શકે છે. આ સાથે જ રિઝર્વ બેંકે અન્‍ય બેંકોને સાઇબર સિક્‍યોરિટી વધુ મજબૂત કરવાની સલાહ પણ આપી છે. મીડિયાના રિપોર્ટ અનુસાર સેન્‍ટ્રલ બેંકે કેટલીક બેંકોને સાઇબર અટેકના વધતા ભયને કારણે તૈયાર રહેવા કહ્યું છે અને જોખમ ઓછું કરવા માટે સિક્‍યોરિટી વધારવાની પણ સલાહ આપી છે.

રિઝર્વ બેંકે આ ચેતવણી સાથે જ બેંકોને અન્‍ય મહત્ત્વના મુદ્દા અંગે જણાવ્‍યું છે જયાં સાઇબર સુરક્ષાને વધુ સારી કરવાની જરૂર છે. આરબીઆઈએ હાલમાં જ બેંકોના જોખમને પહોચી વળવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આના માટે રિઝર્વ બેંક દ્વારા સાઇબર સિક્‍યોરિટી એન્‍ડ ઈન્‍ફર્મેશન ટેકનોલોજી એક્‍ઝામિનેશન કરવામાં આવે છે, જેને સીસાઇટ પણ કહેવામાં આવે છે. સીસાઇટમાં વિભિન્ન બેંકોના ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ, ઈન્‍ટરનેટ એન્‍ડ મોબાઈલ બેંકિંગ પ્‍લેટફોર્મની ક્ષમતાઓ તેમ જ ફ્રોડના નિકાલ સહિત અન્‍ય વ્‍યવસ્‍થાને પારખવામાં આવે છે.

ડિજિટલ બેંકિંગમાં સરળતામાં વધારા સાથે સાઇબર એટેકમાં પણ વધારો થયો છે. જેના પગલે અલગથી સાઇબર અને આઈટીની સમીક્ષા કરવાની જરૂરત પડી છે. સીસાઇટ અંતર્ગત આરબીઆઈની ઈન્‍પેક્‍શન ટીમ તમામ બેંકોના આઈટી સિસ્‍ટમની સારી રીતે તપાસ કરે છે. તપાસ દરમિયાન એ વાતોની ઓળખ કરવામાં આવે છે જેને લઈને રિસ્‍ક થઈ શકે છે. જે બાદ બેંકોને સુધારો કરવાની સલાહ આપવામાં આવે છે.

આરબીઆઈના ડેપ્‍યુટી ગવર્નર ટી. રવિ શંકરે ગયા મહિનાની શરૂઆતમાં એક કાર્યક્રમ દરમ્‍યાન કહ્યું હતું કે બેંકિંગ સેક્‍ટરને નવા સાઇબર હુમલા માટે તૈયાર રહેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે નવમી ફેબ્રુઆરીએ ૧૯માં બેંકિંગ ટેકનોલોજી કોન્‍ફરન્‍સને સંબોધિત કરતા ઉપરોક્‍ત મુદ્દે મહત્ત્વની વાત જણાવી હતી

(10:42 am IST)