Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કન્ફર્મ નહીં થતાં મહિને આઠ લાખ ઓનલાઈન ટિકિટ રદ

રેલવે દ્વારા ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવી : કન્ફર્મ ન થવાના કારણે આશરે ૬૫.૬૯ લાખ ઓનલાઈન ટિકિટો નાણાંકીય વર્ષના શરૂઆતી ૮ મહિનામાં રદ થઇ

નવીદિલ્હી, તા. ૧૯ : દેશમાં ટ્રેનો પર યાત્રીઓના ભારે બોજનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, વર્તમાન નાણાંકીય વર્ષમાં શરૂઆતના આઠ મહિનામાં જ ચાર્ટ બનતી વેળા કન્ફર્મ ન થવાના કારણે ૬૫.૬૯ લાખ ઓનલાઈન ટિકિટ પોતાની રીતે જ રદ થઇ ગયા છે. એટલે કે દર મહિને સરેરાશ ૮ લાખથી વધારે ઓનલાઈન ટિકિટ કન્ફર્મ ન થવાના કારણે રદ થઇ રહ્યા છે. આના કારણે યાત્રીઓને સ્વાભાવિકરીતે જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના નિમચ નિવાસી આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌરે આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, ભારતીય રેલવે સહાયક કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા તેમને માહિતી અધિકાર હેઠળ આ મુજબની માહિતી આપી છે.

          ગૌડને ૮મી જાન્યુઆરીના દિવસે મોકલવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ સુધી ઓનલાઈન બુક કરવામાં આવેલા ૬૫૬૮૮૫૨ ટિકિટ ચાર્ટ બનતી વેળા કન્ફર્મ ન થવાના લીધે વેબસાઈટ ઉપર પોતાની રીતે જ રદ થઇ ગયા છે. આપવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન બુક થયેલી રેલવે ટિકિટ ચાર્ટ બનતી વેળા કન્ફર્મ ન થવાના લીધે પોતાની રીતે જ રદ થઇ જાય છે. આવી સ્થિતિમાં રેલવે દ્વારા રદ સાથે સંબંધિત ચાર્જને કાપીને બાકીની રકમ આઈઆરસીટીસીને આપવામાં આવે છે. આઈઆરસીટીસી આ રકમ યાત્રીઓને પરત કરવાનું કામ કરે છે. આરટીઆઈ અરજી હેઠળ રેલવે પાસેથી આ અતિમહત્વપૂર્ણ માહિતી હાથ લાગી છે. રેલવે દ્વારા કેટલીક બાબતોને લઇને હજુ પુરતી વિગતો આપી નથી. કન્ફર્મ ન થવાના લીધે મહિને આઠ લાખથી વધુ ઓનલાઈન ટિકિટો રદ થાય છે. આ આંકડો ખુબ જ મોટો છે.

(8:12 pm IST)