Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

નસવાડીમાં શિક્ષિકા પત્નિની હત્યા કરી શિક્ષક પતિ ફરાર

નસવાડી ગઢબોરીયાદ ગામે મર્ડરની ઘટનાથી ચકચાર : પત્નિની હત્યા કર્યા બાદ બંને બાળકને પણ પતિ લઇ ગયો : લોખંડના તવાથી પત્નીની હત્યા

અમદાવાદ, તા.૧૯ : વડોદરાના છોટાઉદેપુરમાં નસવાડીના ગઢબોરીયાદ ગામે શિક્ષક પતિએ શિક્ષિકા પત્ની અલ્પાબેન ઝાલાની હત્યા કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત એ સામે આવી હતી કે, પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પતિ બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા.

         આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નસવાડીના ગઢબોરીયાદ ગામમાં રહેતા અલ્પાબેન ઝાલા ખરેડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે પતિ મુકેશભાઈ સોલંકી આણંદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત રોજ સાંજે પતિ મુકેશ પત્ની અલ્પા અને બે બાળકોને મળવા આવ્યો હતો. એ દરમ્યાન મોડી રાત્રે રોટલી બનાવવાના લોખંડના તવાથી પત્ની અલ્પાના ગળા પર પતિ મુકેશે ગંભીર રીતે ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મુકેશ બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપી શિક્ષક પતિએ કયા સંજોગોમાં અને કયા કારણસર પત્નીની હત્યા કરી તેનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી.

(9:18 pm IST)