Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ભાજપને હરાવવા રણશિંગુ

કોલકાતાની મહારેલીમાં વિપક્ષો એક સુરમાં દેખાયા

 કોલકાતા, તા. ૧૯ : કોલકાતામાં વિપક્ષની પ્રચંડ રેલીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મોદી સરકારની એક્સપાયરી ડેટ ખતમ થઇ ગઈ છે. તમામ વિપક્ષી પક્ષો એક સાથે મળીને કામ કરવાનું વચન આપે છે. વડાપ્રધાન કોણ રહેશે તે અંગેનો નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવશે. વિપક્ષી નેતાઓ ઉપર સીબીઆઈ અને ઇડીના ચાલી રહેલા મામલા પર બોલતા મમતાએ કહ્યું હતું કે, જ્યારે આપે કોઇને પણ છોડ્યા નથી તો અમે લોકો આપને કેમ છોડીશું. કોલકાતામાં મમતા બેનર્જી દ્વારા પ્રાયોજિત રેલીમાં મમતા ખુબ જ ઉત્સાહિત દેખાયા હતા. મહારેલીમાં એક સુરમાં ભાજપને હરાવવા માટે રણશિંગુ ફુંકાયું હતું જે નીચે મુજબછે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે દેશને નુકસાન કર્યું  : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

યુનાઇટેડ ઇન્ડિયા રેલીમાં ૨૨ પાર્ટીઓ એકત્રિત થઇ હતી. આ રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જે જર્મનીમાં હિટલરે કર્યું હતું તે જ મોદી અને શાહ કરવા જઇ રહ્યા છે. મોદી અને શાહ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો મોદી અને શાહને બીજી વખત તક અપાશે તો દેશ બરબાદ થઇ જશે. દેશના લોકો આ બંનેને ઉખાડી ફેંકે તે જરૂરી છે. જે કામો ૭૦ વર્ષમાં પાકિસ્તાન કરી શક્યું ન હતું તે મોદીએ પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે. જો મોદી અને શાહ ફરી આવશે તો બંધારણ, ચૂંટણી અને લોકશાહી વ્યવસ્થાને ખતમ કરી દેશે અને તાનાશાહી વ્યવસ્થા લઇ આવશે. કેજરીવાલે કહ્યું હતું કે, લોકો પરેશાન થયેલા છે. નોટબંધીથી દેશની સવા કરોડ નોકરીઓ જતી રહ છે. ખેડૂતો બરબાદ થયા છે.

બંધારણને બચાવવા ભાજપથી છુટકારો જરૂરી છે : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ

કોઇ સમયે બસપના સૌથી મોટા દુશ્મન તરીકે રહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રેલીમાં કહ્યું હતું કે, જે બાબત બંગાળમાં ચાલશે તે સમગ્ર દેશમાં ચાલશે. તેમણે દાવો કર્યો હતો કે, બસપ સાથે જોડાણ કરવાથી દેશના લોકોમાં રાહત જોવા મળી રહી છે. આ રેલીથી દેશની જનતામાં એક વિશ્વાસ જાગશે. સંયુક્ત વિપક્ષની વચ્ચે વડાપ્રધાન પદના ઉમેદવારનું નક્કી કરવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ભાજપના લોકો તેમને હેરાન કરતા આ પ્રશ્ન કરે છે અને કહે છે કે, તેમની પાસે વર ઘણા છે પરંતુ આખરે જવાબદારી લેશે કોણ તે મોટો પ્રશ્ન છે. ભાજપના ૪૦ પક્ષો સાથે જોડાણ છે. ચૂંટણી આવતા જ સીબીઆઈ અને ઇડી સાથે જોડાણ કર્યા છે.

ભાજપ બેવડું માપદંડ ધરાવે છે : શરદ યાદવ

રેલીમાં જનતા યુનાઇડેટમાંથી છેડો ફાડી ચુકેલા શરદ યાદવે કહ્યું હતું કે, આ ઇતિહાસનો ખુબ મોટો ઘટનાક્રમ છે. દેશ સંકટમાં છે. ખેડૂતો પરેશાન થયેલા છે. યુવાનો બરબાદી તરફ વધી રહ્યા છે. દુકાનદારોના વેપાર અને કારોબાર જીએસટીના કારણે ઠપ થઇ ચુક્યા છે. નોટબંધીના લીધે દેશની અર્થવ્યવસ્થા ૧૨ વર્ષ પાછળ જતી રહી છે.

શોષણનો જિગ્નેશ મેવાણીનો આરોપ

ગુજરાતમાંથી દલિત આંદોલન સમયે સપાટી ઉપર આવેલા જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને સત્તાથી દૂર કરવાનો સમય છે. ખેડૂતો, મજુરો અને દલિતોનું શોષણ થઇ રહ્યું છે. બંધારણને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગયા વર્ષે ભીમાકોરેગાંવ હિંસાને લઇને ધરપકડને અયોગ્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે, દેશ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

સાથે મળીને ચોરો સાથે લડવાની જરૂર : હાર્દિક પટેલ

રેલીને સંબોધનમાં ગુજરાતના પાટીદાર આંદોલનથી ઉભરેલા નેતા હાર્દિક પટેલે દેશને બચાવવા માટે વિપક્ષ એકમત થાય તેવી માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકો સુભાષબાબુ દેશ માટે અંગ્રેજો સામે લડતા હતા તેવી જ રીતે અમને એક સાથે મળીને લડવાનો સમય છે. હાર્દિકે દાવા સાથે કહ્યું હતું કે, જનસૈલાબ એક ક્રાંતિ લઇને આવશે જેની કોઇને કલ્પના હશે નહીં.

અચ્છે દિન માટે મોદીને દૂર કરવાની જરૂર : રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી

રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ કહ્યું હતું કે, અચ્છે દિન લાવવા માટે મોદીને દૂર કરવાનો સમય આવી ગયો છે. બંગાળ જે આજે વિચારે છે તે ભારત આવતીકાલે વિચારે છે. મમતા બેનર્જીએ આ બાબત સાબિત કરી બતાવી છે.

તમામની સાથે રહી વિનાશ કર્યો : વરિષ્ઠ નેતા યશવંત-શત્રુઘ્ન સિંહા

ભાજપમાંથી નારાજ થયેલા વરિષ્ઠ નેતા યશવંતસિંહા, શત્રુઘ્નસિંહા, અરુણ શૌરીએ પણ મમતાના મંચથી તેજાબી પ્રહારો કર્યા હતા. યશવંતસિંહાએ મોદીની જગ્યાએ ભાજપને ટાર્ગેટ બનાવતા કહ્યું હતું કે, છેલ્લા ૫૬ મહિનાઓમાં દેશમાં લોકતંત્ર ખતરામાં આવ્યું છે. અમારી સામે મોદી મુદ્દો નથી. અન્ય મુદ્દાઓ છે. પહેલા સબકા સાથ સબકા વિકાસનો નારો આપવામાં આવ્યો હતો. મોદીએ તમામનો સાથ લીધો હતો પરંતુ તમામનો વિનાશ કર્યો છે. અરુણ શૌરીએ રાફેલ મુદ્દા ઉપર સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સંરક્ષણના ક્ષેત્રમાં જેવા કૌભાંડ થયા છે તેવા કૌભાંડ હજુ સુધી થયા નથી. શત્રુઘ્ને કહ્યું હતું કે, નોટબંધીના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી થઇ છે. ભાષણની શરૂઆત બંગલામાં બોલીને કરી હતી અને કહ્યું હતું કે, બિહારમાં તેજસ્વી ખુબ શક્તિશાળી લીડર તરીકે ઉભરી આવશે. નોટબંધીનો નિર્ણય પાર્ટીનો નિર્ણય ન હતો.

 

 

(7:41 pm IST)