Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મુઝફ્ફરપુર કોર્ટનું સલમાન સહિત ૮ને હાજર થવા હુકમ

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ : અભિનેતાના મોત માટે પરિવાર વાદ જવાબદાર હોવાનું જણાવી કલાકારો સામે કેસ, ૭મીએ હાજર રહેવા આદેશ

મુઝફ્ફરપુર, તા. ૧૮ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે, એવામાં હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુજફ્ફરપુર જિલ્લા કોર્ટે આજે એક ખુબ જ મહત્વનો આદેશ જાહેર કર્યો છે અને બોલિવૂડની ૮ મોટી મોટી હસ્તીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા જ ફિલ્મી સ્ટાર્સને ૭ ઓક્ટોબરે હાજર થવાનું છે. જિલ્લા કોર્ટના આદેશ પ્રમાણે સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને ૭ ઓક્ટોમ્બરે કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ બધાને આ બાબતની કોર્ટે નોટિસ પણ મોકલી દીધી છે. આ બધી જ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધમાં અધિવક્તા સુધીર ઓઝાએ પરિવારવાદ દાખલ કરીને સુશાંતના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.

             ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત સમયે આ બધા કલાકારો ભારે ટ્રોલ થયા હતા અને નેપોટિઝમનો મુદ્દો પણ એક વિવાદમાં રહ્યો હતો. બોલિવૂડ બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું. ત્યારે હવે આ બધા અભિનેતાને કોર્ટમાંથી આ રીતે તેડૂં આવ્યું એ પણ એક મોટા સમાચાર ગણી શકાય. ઉલ્લેખનીય છે કે એસઆઈટી ટીમના એક મેમ્બરને કોરોના થયો હોવાના કારણે હાલમાં સુશાંત કેસમાં બધી તપાસ પર રોક લગાવવામાં આવી છે. એનસીબી ડેપ્યૂટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, એસઆઈટી ટીમના એક સભ્યને કોરોના થઈ ગયો છે. અમને પણ એન્ટીજન રિપોર્ટ મળ્યો. આના કારણે બીજા મેમ્બર્સનો ટેસ્ટ પણ કરવાનો રહેશે અને પ્રોટોકૉલ ફૉલો કરવામાં આવશે. આ કારણે અમે શ્રુતિ મોદીને પરત મોકલી છે. અને હાલમાં તપાસ રોકવામાં આવી રહી છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુલ મિરાંડા અને દીપેશ સાવંતની ધરપકડ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં બોલિવૂડના અનેક નામોનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આમાં સિમોન ખંભાતા, સારા અલી ખાન અને રકુલપ્રીતનું નામ પણ ચર્ચામાં છે.

(9:32 pm IST)