Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

FPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૮૩૧૯ કરોડ ખેંચી લેવાયા

નકારાત્મક માહોલ અકબંધ રહેતા માઠી અસર : ૧૦ કારોબારી સેશન પૈકી નવમાં વેચવાલીનું મોજુ રહ્યું

નવીદિલ્હી, તા.૧૮ : વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે. જો કે, એફપીઆઈ દ્વારા આ ગાળા દરમિયાન ડેબ્ટ સિક્યુરિટીમાં ૨૦૯૬.૩૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઓગસ્ટ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા ૧૦ ટ્રેડિંગ સેશનો પૈકી નવમાં વેચવાલી રહી છે જે સંકેત આપે છે કે,

        ખુબ જ તીવ્ર નકારાત્મક માહોલ વિદેશી મૂડીરોકાણકારોમાં જોવા મળે છે. અગાઉના મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રાખવામાં આવી હતી.  વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.

         ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  અમેરિકી અને ચીનના ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે એફપીઆઈ દ્વારા જે નાણાં રોક્યા તેના કરતા વધુ નાણાં પાછા ખેંચ્યા છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. ઇક્વિટી સેગ્મેન્ટમાં એફપીઆઈ દ્વારા સુપરરિચ ટેક્સની જાહેરાત કરાયા બાદથી વેચવાલી જારી રહી છે.

FPI દ્વારા વેચવાલી....

*   વિદેશી રોકાણકારોએ સાનુકુળ સ્થાનિક અને વૈશ્વિક પરિબળ નહીં હોવાથી ઓગસ્ટમાં છેલ્લા નવ સેશનમાં તીવ્ર વેચવાલી

*   ઓગસ્ટમાં મૂડી માર્કેટમાંથી ૮૩૧૯ કરોડ પાછા ખેંચાયા

*   ૧-૧૬ ઓગસ્ટના ગાળા દરમિયાન ૧૦૪૧૬.૨૫ કરોડનું ઇક્વિટીમાં વેચાણ થયું

*   એફપીઆઈ દ્વારા ડેબ્ટમાં રોકાણ કરાયું હોવા છતાં અંતે ૮૩૧૯ કરોડ નાણા પાછા ખેંચાયા

*   ૧૦ પૈકીના નવ સેશનમાં મંદીથી ભારે ચિંતાનું મોજુ

*   એફપીઆઈ દ્વારા વેચવાલીનો સિલસિલો યથાવત જાળવી રખાયો

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*   ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

(7:52 pm IST)