Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અયોધ્યા કેસમાં રોજ સુનાવણી કે વાત તે અંગે બીજીએ ફેંસલો

૩૧મી સુધી અંતિમ રિપોર્ટ આપવા મધ્યસ્થી કમિટિને આદેશ : જસ્ટિસ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યની પેનલનો અહેવાલ સુપ્રીમ કોર્ટને મળ્યો : ૩૧મી જુલાઈ સુધી ચર્ચા મધ્યસ્થતા પેનલ જારી રાખી શકે : સુપ્રીમ

નવી દિલ્હી, તા. ૧૮ : રાજકીયરીતે સંવેદનશીલ રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં દરરોજ  સુનાવણી થશે કે પછી વાતચીત મારફતે રસ્તો ખુલશે તે અંગે સુપ્રીમ કોર્ટ બીજી ઓગસ્ટના દિવસે ફેંસલો કરશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો છે. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેશે.

 સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મધ્યસ્થતા પેનલ ૩૧મી જુલાઈ સુધી વાતચીત જારી રાખી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૧મી જુલાઈના દિવસે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતી વેળા કહ્યુ હતુ કે તેને જસ્ટીસ એફએમ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલનો હેવાલ મળી ગયો છે. કોર્ટ દ્વારા રિપોર્ટમાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે. પેનલને ૩૧મી જુલાઇ સુધી વાતચીત જારી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે જટિલ મામલામાં ફેંસલાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.કોર્ટે પહેલા ૨૫મી જુલાઇના દિવસે સુનાવણી કરવા માટેની તારીખ નક્કી કરી હતી. હવે કોર્ટે બીજી ઓગષ્ટના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.સુપ્રીમ કોર્ટે ૧૧મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી કરી હતી. એ દિવસે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થતાને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે. સીજેઆઇ રંજન ગોગાના નેતૃત્વમાં બંધારણીય બેંચે મધ્યસ્થતા પેનલને વચગાળાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

 સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવામાં આવશે નહીં.મધ્યસ્થતા પેનલને ભંગ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમે મધ્યસ્થતા પેનલની રચના કરી ચુક્યા છીએ. અમને રિપોર્ટનો ઇન્તજાર રહેશે. મધ્યસ્થતા પેનલ પહેલા રિપોર્ટ રજૂ કરે તે જરૂરી છે. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલ કે. પરાસરને કહ્યુ હતુ કે મધ્યસ્થતાના કોઇ સારા પરિણામ હાંસલ થશે નહીં. જેથી કોર્ટને સુનાવણી માટે તારીખ નક્કી કરવી જોઇએ. બીજી બાજુ મુસ્લિમ પક્ષ તરફથી ઉપસ્થિત થયેલા વકીલ રાજીવ ધવને કહ્યુ હતુ કે આ સમય મધ્યસ્થતા પેનલની ટિકા કરવાનો નથી. ધવને આક્ષેપ કર્યો હતો કે આ અરજી અમને ડરાવવા માટે કરવામાં આવી છે.આ પહેલા સુપ્રીમ કોર્ટે આઠમી માર્ચના દિવસે પૂર્વ ન્યાયાધીશ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતીની રચના કરી હતી. જેને મામલાનો સર્વમાન્ય સમાધાન કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. મામલાની સુનાવણી દરમિયાન સંબંધિત પક્ષોના લોકો હાજર રહ્યા હતા. આજની સુનાવણી પર તમામ લોકોની નજર પહેલાથી જ કેન્દ્રિત થઇ ગઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી વર્ષોથી ચાલી રહી છે. કોઇ નિકાલ કરવામા આવી રહ્યો નથી. કોર્ટના કેટલાક નિર્ણય આવી ચક્યા છે. જો કે આ અંગે કોર્ટના ફેંસલાને પડકાર ફેંકીને વારવાર રજૂઆત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં વારંવાર સંબંધિત પક્ષો તરફથી તર્કદાર દલીલો રજૂ કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં વારંવાર પડી રહેલી તારીખોને લઇને પણ અયોધ્યા મામલે જોડાયેલા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

 દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે આઠમી માર્ચના દિવસે મધ્યસ્થીનો આદેશ કર્યો હતો.  મધ્યસ્થીના અગાઉ ચાર પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે તમામ ફ્લોપ રહ્યા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જો કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજો વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.

સુનાવણીની સાથે સાથે......

હિન્દુ સંગઠને મધ્યસ્થી પ્રક્રિયા બંધ કરવા કહ્યું છે

નવી દિલ્હી, તા. ૧૮ : રાજકીયરીતે સંવેદનશીલ રામજન્મભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં દરરોજ  સુનાવણી થશે કે પછી વાતચીત મારફતે રસ્તો ખુલશે તે અંગે સુપ્રીમ કોર્ટ બીજી ઓગસ્ટના દિવસે ફેંસલો કરશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો છે. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની સાથે સાથે નીચે મુજબ છે.

*   અયોધ્યા મામલામાં દરરોજ સુનાવણી થશે કે વાતચીત મારફતે વિવાદનો ઉકેલ લવાશે તે સંદર્ભમાં બીજી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે

*   મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવાનો રહેશે

*   અંતિમ રિપોર્ટ આવી ગયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંદર્ભમાં નિર્ણય કરાશે

*   જસ્ટિસ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલ તરફથી મળેલા રિપોર્ટમાં અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે

*   ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે ૧૧મી જુલાઈના દિવસે રિપોર્ટ માંગ્યો હતો અને ત્યારબાદ ૨૫મી જુલાઈથી દરરોજ સુનાવણી કરવાના સંકેત આપ્યા હતા પરંતુ હવે બીજીએ આ સંદર્ભમાં નિર્ણય થશે

*   પાંચ જજની બંધારણીય બેંચમાં જસ્ટિસ એસએસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ નઝીર સામેલ છે

*   હિન્દુ સંગઠન મધ્યસ્થતાની પ્રક્રિયા પુરી કરવા માટે રજૂઆત કરી રહ્યા છે

*   હિન્દુ સંગઠન તરફથી રજૂઆત કરીને કહેવામાં આવ્યું છે કે, મધ્યસ્થતાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે, આનાથી વિવાદનો ઉકેલ આવશે નહીં

*   મધ્યસ્થતા પેનલમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુને સામેલ કરવામાં આવ્યા છે

*   હિન્દુ સંગઠન તરફથી તર્કદાર દલીલો થઇ ચુકી છે

(7:33 pm IST)