Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભારતભરમાં આક્રોશનું મોજુ હજુ અકબંધ : લોકો રસ્તા પર

ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ તીવ્ર : દેશના જુદા જુદા ભાગોમાં શહીદોને વિવિધરીતે શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી,તા. ૧૭ : જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ આજે ત્રીજા દિવસે અકબંધ રહ્યો હતો. લોકો એકબાજુ શહીદ જવાનોને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજતા નજરે પડ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ સાથે દેખાવો પણ કરવામાં આવ્યા હતા. લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં લોકો જાહેર માર્ગ પર ઉતરી ગયા છે. તેમન એક જ માંગ છે કે ત્રાસવાદીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે. ખુનનો બદલો ખુનથી લેવાની માંગ થઇ રહી છે. મોદી સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે.દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ સંગઠનના લોકો, રાજકીય પક્ષોના લોકો પણ જોડાયા છે.  લોકો દ્વારા પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને  જોરદાર સૂત્રોચ્ચા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.  પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છેે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ એ હવે દેશના લોકોની લાગણી છે.  પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે. બોલિવુડ અને જુદી જુદી રમતના લોકો પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આના માટે વિવિધ કાર્યક્રમ યોજી રહ્યા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જારી છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં પણ દેખાવ કરવામાં આવી રહ્યા છે. લોકલ ટ્રેન સેવાના રૂટ ઉપર દેખાવો કરવામાં આવ્યા હતા.

 

 

(12:00 am IST)