Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

અભિનેત્રી પાયલ રોહતાગી ને જામીન મળ્યા : આખરે મોટી રાહત

રવિવારના દિવસે ધરપકડ કરાઈ હતી : ૨૫-૨૫ હજાર રૂપિયાની બે બાંહેધરીના આધારે જામીન

અમદાવાદ,તા. ૧૭ :  મોડલ અને અભિનેત્રી પાયલ રોહતાગીને આજે જામીન મળી ગયા હતા. ૨૫-૨૫ હજાર રૂપિયાની બે બાંહેધરીના આધાર પર તેને જામીન મળ્યા હતા. જામીન મળતા તેને રાહત થઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે પાયલે બુંદીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેમછતાં તે પહેલાં જ તેની ધરપકડ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, પાયલને ૨૪ કલાક જેલમાં રહ્યા બાદ જામીન મળી ગયા છે. લુંટ અને મર્ડરના આરોપીઓની વચ્ચે પાયલ રોહતાગીને જેલમાં રહેવાની ફરજ પડી હતી. નહેરુ પરિવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મોડલ પાયલ રોહતાગીની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે આઠ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનની બુંદી કોર્ટે કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. રાજસ્થાન પોલીસે પાયલ રોહતાગીની હાલમાં અમદાવાદમાં ધરપકડ કરી હતી.

           રાજસ્થાન પોલીસે ફેસબુક અને ટ્વિટર સહિત સોશિયલ મિડિયા હેન્ડલ પર મળેલી ટિપ્પણીને પોસ્ટ કરવા માટે અમદાવાદમાંથી પકડી પાડી હતી. ત્યારબાદ તેને રાજસ્થાનના બુંદીમાં લઇ જવાઈ હતી. પોલીસે કહ્યું છે કે, પાયલની સામે પોલીસને ૧૦મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે ફરિયાદ મળી હતી. પાયલને જામીન મળતા તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને રાહત થઇ છે. મદદ કરવા માટે અપીલ પણ પાયલ તરફથી કરાઈ હતી. આજે પાયલ તરફથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરાઈ હતી.

(9:47 pm IST)