Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મુંબઈગરાઓને ખુશખબર : તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવામાં આવશે: ટ્રેનના ભાડામાં પણ થશે ઘટાડો

મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેનો અંગે પેસેન્જર સર્વે હાથ ધર્યો હતો

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં ચાલતી તમામ લોકલ ટ્રેનોને એરકન્ડિશન્ડ (AC) ટ્રેનમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહી છે.

મુંબઈ રેલ વિકાસ નિગમ (MRVC) મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે રેલવે બોર્ડે આ સંદર્ભમાં પહેલેથી જ નિર્ણય કર્યો હતો. હવે ખૂબ જ જલ્દી આ નિર્ણયનો અમલ થાય તેવી શક્યતા છે. મુંબઈમાં કામ કરતા મોટાભાગના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. મુંબઈ લોકલ તેની ઝડપ અને સેવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અહીંની વસ્તી પણ ઘણી વધારે છે. કર્મચારીઓને સેવા પૂરી પાડવાના સંદર્ભમાં શરૂઆતથી જ મુંબઈ લોકલ મહત્વની ભૂમિકા રહી છે. આ સ્થિતિમાં મુસાફરો આરામદાયક મુસાફરી માણી શકે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, લોકલ ટ્રેનોના ભાડામાં પણ ઘટાડો થવાની સંભાવના છે અને તે મહાનગરોના ભાડા માળખા પર આધારિત હશે. આ સમય દરમિયાન, ભારતીય રેલવેએ (Indian Railways) સેમી એસી લોકલ ટ્રેનો ચલાવવાની યોજના બંધ કરી છે. હવે માત્ર એસી ટ્રેનો સંપૂર્ણપણે ચલાવવાની તૈયારી દર્શાવી છે. તમામ લોકલ ટ્રેનોને AC ટ્રેનમાં રૂપાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે,સેમી એસી ટ્રેનમાં કેટલાક કોચ એસીના અને કેટલાક કોચ સામાન્ય કેટેગરીના હોય છે.

MRVC ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (MUTP) હેઠળ મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્ક માટે તમામ સંપૂર્ણ એસી લોકલ ટ્રેનો ખરીદીશું. અહેવાલો અનુસાર, એમઆરવીસી આગામી દિવસોમાં 283 નવી એસી લોકલ ટ્રેન ખરીદશે, કેન્દ્રીય રેલવે મંત્રાલયે એસી લોકલ ટ્રેનોની ખરીદી માટે મંજૂરી પણ આપી છે.

રેલવેએ જણાવ્યુ હતુ કે, ઉપનગરીય એસી લોકલ ટ્રેનોનું ભાડું માળખું મુંબઈ મેટ્રો એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) અથવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના મેટ્રો ભાડા પર આધારિત હશે. આ અંગે MRVC એ એસી લોકલ ટ્રેનોનું ભાડું મુંબઈ અને દિલ્હીમાં મેટ્રોના ભાડાની બરાબર રાખવાનું સૂચન કર્યું હતું. તાજેતરમાં, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેનો અંગે પેસેન્જર સર્વે હાથ ધર્યો હતો. બાદમાં મુસાફરોનો જવાબ રેલવે મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. સર્વે દરમિયાન મુસાફરોએ એસી લોકલ ટ્રેનોનું ભાડું ઘટાડવાનુ સુચન કર્યુ છે.

(4:57 pm IST)