Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયીની યાદમાં શાહરૂખે લખ્યો ભાવુક સંદેશ - 'લવ યુ બાપજી'

'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તેમણે મારૃં જીવન પ્રભાવિત કર્યું હતું : ભગવાન તેમના આત્માને શાંતિ આપે'

મુંબઇ તા. ૧૭ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શુક્રવારે સાંજે અંતિમ સંસ્કાર થશે. તેમના નિધનથી આખો દેશ શોકમાં ગરક થઈ ગયો છે. તેમની વિદાય બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે રાત્રે તેમના નિવાસ્થાને તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. બીજી તરફ બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ ટ્વિટ્સ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાને ટ્વિટ કરીને શોક પ્રગટ કરતા કહ્યું કે દેશે આજે એક પિતા સમાન વ્યકિતને ગુમાવી દીધા છે.

શાહરેખ ખાને લખ્યું કે, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તેમણે મારું જીવન પ્રભાવિત કર્યું હતું, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.'

આ સાથે જ શાહરુખ ખાને અટલ બિહારીની કવિતા 'કયા ખોયા કયા પાયા'ની લિંક પણ શેર કરી હતી, જેમાં જગજીતસિંઘે અવાજ આપ્યો હતો. સંવેદનાની પ્રસ્તાવના જાવેદ અખ્તરે લખી હતી, અવાજ અમિતાભ બચ્ચને આપ્યો હતો અને અભિનય શાહરુખ ખાને આપ્યો હતો. આ કવિતાના વીડિયોના દિગ્દર્શનનું કામ યશ ચોપડાએ સંભાળ્યું હતું.(૨૧.૧૧)

(11:27 am IST)