Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે જામ : હજારો વાહનોની લાંબી કતારો

ફોર-લેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામ દરમિયાન રોમપાડીમાં 270 કિલોમીટર લાંબા હાઈવે પર ભૂસ્ખલન થયું

જમ્મુ અને કાશ્મીરમાં બનિહાલ નજીક એક વિશાળ ભૂસ્ખલનથી જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો, જેના કારણે હજારો વાહનો ત્યાં અટવાઈ પડ્યા હતા. ત્યાંના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફોર-લેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામ દરમિયાન સવારે 11 વાગ્યે રોમપાડીમાં 270 કિલોમીટર લાંબા હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતો આ એકમાત્ર રસ્તો છે. સંબંધિત અધિકારીઓએ રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ટ્રાફિક પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (નેશનલ હાઈવે) અસગર મલિકે જણાવ્યું કે એક પહાડી પરથી મોટા પથ્થરો પડવાને કારણે હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કાટમાળ હટાવવામાં ઓછામાં ઓછા ચાર કલાકનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે હાઈવેની બંને તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી બાજુ, અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંધકામ હેઠળની રેલ્વે ટનલને જોડતા પુલને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે રોડ ક્લીયરિંગ એજન્સીએ પણ સાવચેતીપૂર્વક કામ કરવું પડશે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ લગભગ બે કલાક સુધી બંધ રહ્યો હતો. આ બાબતે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોર-લેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામ દરમિયાન લગભગ 12.30 વાગ્યે સમરોલી નજીક ભૂસ્ખલન થતાં 270 કિલોમીટર લાંબો હાઇવે બ્લોક થઈ ગયો હતો. જોકે, આ રસ્તો તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવ્યો હતો. તમામ હવામાનમાં ખુલ્લો રહેતો આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરવાની પ્રશાસનની પ્રાથમિકતા હતી. તેથી તેને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવ્યું હતું.

(9:01 pm IST)