Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ડે. સીએમ-ભાજપના પ્રદેશ અધ્યક્ષના ઘર ઉપર હુમલો

સતત ત્રીજા દિવસે બિહારમાં અગ્નિપથનો વિરોધ જારી : બંને નેતાઓ હુમલાના સમયે ઘરે ન હતા, પોલીસ પણ સમયસર ન પહોંચ્યાનો સ્થાનિકોએ કરેલો આક્ષેપ

બેતિયા, તા.૧૭ : બિહારમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રેલવેને નિશાન બનાવ્યા બાદ હવે ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંસક પ્રદર્શનકારીઓએ શુક્રવારે બેતિયામાં બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવી અને મ્ત્નઁના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસવાલના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સમયે તેઓ પોતાના ઘરે નહોતા. આ સાથે જ બીજેપીના બિહાર અધ્યક્ષ સંજય જયસવાલના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ અચાનક સંજય જયસવાલના આવાસ પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓએ સંજય જયસવાલના ઘરે તોડફોડ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું.

જાણકારી અનુસાર, બેતિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા ઉગ્ર પ્રદર્શનકારીએ ભારે હોબાળો મચાવ્યો હતો. એનએચ-૭૨૭ પર સ્થિત સુપ્રિયા રોડ વિસ્તારમાં રોષે ભરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ કરી છે. ઉશ્કેરાયેલા હિંસક ટોળાએ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીના નિવાસસ્થાને પથ્થરમારો કરીને ઘરના કાચ તોડી નાખ્યા હતા. સાથે જ ડેપ્યુટી સીએમના નિવાસસ્થાને રહેલા ભાડૂતો અને અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે, હિંસક ભીડ તાળું તોડીને ઘરમાં ધુસવાનો પ્રયત્ન કરી રહ્યું હતુ. પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ સમયસર હાજર નહોતી તેવો પણ લોકો આરોપ લગાવી રહ્યા છે. અહેવાલ અનુસાર, બેતિયામાં રેણુ દેવીના નિવાસસ્થાને થયેલા હિંસક હુમલામાં ઘણું નુકશાન થયું છે. હાલમાં ડેપ્યુટી સીએમ રાણુ દેવી પટનામાં છે.

બેતિયામાં હોસ્પિટલ રોડ સ્થિત સંજય જયસવાલના નિવાસસ્થાના બહાર રોષે ભરાયેલી ભીડે તોડફોડ કરી છે. પ્રદર્શનકારીએ ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

(8:15 pm IST)