Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સરગમ કૌશલે જીત્‍યો મિસિસ ઇન્‍ડિયા વર્લ્‍ડનો ખિતાબ

હવે મિસિસ વર્લ્‍ડમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે

મુંબઇ, તા.૧૭: દેશને વધુ એક બ્‍યુટી ક્‍વીન મળી છે. મિસિસ ઇન્‍ડિયા વર્લ્‍ડ ૨૦૨૨-૨૦૨૩ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. શ્રીમતી સરગમ કૌશલે આ ખિતાબ જીત્‍યો છે. ૧૫ જૂને મુંબઈના ગોરેગાંવ સ્‍થિત નેસ્‍કો સેન્‍ટરમાં આ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે  નવદીપ કૌર, જે મિસિસ ઇન્‍ડિયા વર્લ્‍ડ ૨૦૨૧ અને મિસિસ વર્લ્‍ડમાં નેશનલ કોસ્‍ચ્‍યુમ વિનર હતા, તેમણે સરગમ કૌશલના  માથા પર તાજ પહેરાવીને વિજેતા જાહેર કર્યા હતા. મિસિસ ઈન્‍ડિયા વર્લ્‍ડનો ખિતાબ જીત્‍યા બાદ હવે સરગમ કૌશલ મિસિસ વર્લ્‍ડ ૨૦૨૨માં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે. ફર્સ્‍ટ રનર અપ જુહી વ્‍યાસ અને સેકન્‍ડ ચાહત દલાલે ખિતાબ જીત્‍યો.

સૌથી મહત્‍વની વાત એ છે કે સરગમ કૌશલે સમગ્ર દેશમાંથી ૫૧ સ્‍પર્ધકોને હરાવીને મિસિસ ઈન્‍ડિયા વર્લ્‍ડનો તાજ જીત્‍યો છે. મિસિસ ઇન્‍ડિયા વર્લ્‍ડ પેજન્‍ટની જ્‍યુરી પેનલમાં જાણીતા ચહેરાઓનો સમાવેશ થતો હતો. જેમાં વિવેક ઓબેરોય, સોહા અલી ખાન, ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્‍મદ અઝહરુદ્દીન, ભૂતપૂર્વ મિસ વર્લ્‍ડ ડોક્‍ટર અદિતિ ગોવિત્રીકર અને ફેશન ડિઝાઇનર માસુમી મેવાવાલાનો સમાવેશ થાય છે.

આ સ્‍પર્ધા જીત્‍યા બાદ સરગમ કૌશલની ખુશીનો કોઈ પાર નથી. તે કહે છે - હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. હું મારી ખુશીને શબ્‍દોમાં વર્ણવી શકતી નથી. હવે હું તમને આગામી મિસિસ વર્લ્‍ડ સ્‍પર્ધામાં મળીશ.

(3:07 pm IST)