Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

એક રસગુલ્લાના કારણે થઇ ગઇ બબાલઃ કન્‍યાપક્ષે છોકરી પરણાવવા ના પાડી દીધી

જાનૈયાઓમાંના એક વ્‍યકિતએ રસગુલ્લા માટે કેટરર્સ સાથે ઝઘડો કરતા વાત વણસી હતી

લખનૌ,તા. ૧૭: ઘણી વખત એકદમ સામાન્‍ય અને ક્‍યારેક તો હાસ્‍યાસ્‍પદ કહી શકાય તેવી વાતના કારણે લગ્ન કરવા આવેલા જાનૈયાઓ અને યુવતીઓના સંબંધીઓ વચ્‍ચે તકરાર થતી હોવાના સમાચાર ઘણી વખત આવતા હોય છે. આવી ઘટનામાં ક્‍યારેક વાત મારામારી પર આવી જાય છે અને ક્‍યારેક વરરાજાને કન્‍યા વગર જ પાછુ ફરવું પડ્‍યું હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. જેમાં એક રસગુલ્લાના કારણે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

ઉત્તર પ્રદેશમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્‍યારે સંભલ જિલ્લામાં એક રસગુલ્લાના કારણે વાત એટલી બધી વણસી ગઈ કે વર-કન્‍યાના ફેરા જ અટકી ગયા હતા. રસગુલ્લાને લઈને હલવાઈ અને જાનૈયાઓમાં મારામારી થઈ ગઈ હતી. જેના કારણે પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી અને લગ્નની વિધી અધવચ્‍ચે જ રોકી દેવી પડી હતી. બાદમાં કન્‍યાપક્ષે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. કન્‍યા અને વર પક્ષના લોકોમાં ઘણા કલાકોના પ્રયાસ બાદ સમાધાન થયું હતું.

આ ઘટના બનિયાઠેર ગામની છે. બુધવારે રાત્રે જિલ્લાના જ કુઢ ફતેહગઢના ગામ દિયોરા ખાસથી બનિયાઠેર ગામમાં જાન આવી હતી. વરરાજા શિક્ષક છે. વરરાજાને પોંખવામાં આવ્‍યો હતો અને જાનૈયાઓ જમણવાર કરી રહ્યા હતા. આ દરમિયાન જાનૈયામાંથી એક વ્‍યક્‍તિ રસગુલ્લાના કાઉન્‍ટર પર પહોંચ્‍યો હતો. આરોપ છે કે તેણે દારૂ પીધો હતો. સ્‍ટોલ પર કેટરર્સનો માણસ રસગુલ્લા પીરસી રહ્યો હતો. ત્‍યારે જાનૈયાએ તે વ્‍યક્‍તિ પર માંગવા છતાં રસગુલ્લા ન આપવાનો આરોપ લગાવ્‍યો હતો. ત્‍યારબાદ બંને વચ્‍ચે બોલાચાલી થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પીધેલા જાનૈયાએ રસગુલ્લા ભરેલો થાળ ઉથલાવી દીધો હતો. જેને લઈને કેટરર્સના લોકો અને બે જાનૈયાઓ વચ્‍ચે મારામારી થઈ ગઈ હતી. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ પણ ત્‍યાં પહોંચી હતી. બાદમાં પોલીસ કેટરર્સના વ્‍યક્‍તિ અને બે જાનૈયાઓને રાત્રે જ પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી. જોકે, આ ઘટના બાદ લગ્નની વિધી અધવચ્‍ચે જ અટકાવી દેવી પડી હતી. હંગામો થવાના કારણે ઘણા જાનૈયાઓ રાત્રે જ પોતાના ગામ જતા રહ્યા હતા.

(10:13 am IST)