Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

શંકરસિંહ ફરી કોંગ્રેસમાં પાછા ફરશે? ભરતસિંહ સોલંકી સાથે બેઠકઃ જો કે નિર્ણય દિલ્હીથી લેવાશે

જો માનભર્યુ પદ મળે તો બાપુ પણ ઘર વાપસી માટે તૈયાર

નવી દિલ્હી, તા.૧૭: ગુજરાતમાં આગામી વિધાનસભા  પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઇ રહી છે. ત્યારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરીથી ઘરવાપસી થવાના ભણકારા વાગી રહ્યાં છે. બાપુ કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યાં છે. જોકે, બાપુ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગેનો આખરી નિર્ણય તો દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ જ કરશે.

બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેના ભણકારા વાગી રહ્યાં છે. બુધવારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બાપુ કોંગ્રેસમાં જોડાવવા તત્પર છે તે અંગેની અટકળો તેજ બની છે. આ પહેલા પણ બાપુ જયારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી હતી. બાપુ ભરતસિંહનાં પિતા માધવસિંહને શ્રદ્ઘાંજલિ આપવા ગયા હતા. જે બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચૂકી છે.

રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની નિયુકિત બાકી છે આ સાથે અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે. ત્યારે બાપુને આમાંથી એકાદ રોલ મળી શકે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. બાપુને કોંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કોંગ્રેસનું એક મોટું જુથ સક્રિય છે. જોકે, આ અંગેનો નિર્ણય દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ જ કરશે. જોકે, ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, કોંગ્રેસને તોડનારા શંકરસિંહ બાપુને ફરીથી હાઇકમાન્ડ પાર્ટીમાં સ્થાન નહીં આપે.

નોંધનીય છે કે, આરએસએસમાંથી આવેલા અને ભાજપ તથા કોંગ્રેસનાં નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાદ્યેલાએ પહેલા બળવો કરીને ભાજપ છોડ્યું હતુ. બાપુએ ત્યારબાદ પોતાનો પક્ષ રાજપા બનાવ્યો હતો. જોકે, રાજપામાં કાંઇ વધારે તક ન મળતા બાપુ ૧૯૯૯માં કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ તેમણે શકિતદળ બનાવ્યુ હતુ. જે બાદ ફરીથી બાપુ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા બેઠક પર ચૂંટણી જીત્યા હતા.

કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધી વિપક્ષ નેતા પણ રહી ચૂકયા છે. જે બાદ રાજય સભાની ચૂંટણી સમયે ભાજપના બળવંતસિંહને સમર્થન આપીને બાપુએ કોંગ્રેસને તોડી હતી. ત્યારે હવે ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાવવા માટે તત્પર બન્યાં છે.

(4:10 pm IST)