Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પાલઘરમાં સાધુ હત્યાકાંડના 11 આરોપીઓ કોરોનાની ઝપટમાં : અન્ય ૬ કેદીનો રિપોર્ટ આવવાનો હજી બાકી

પાલઘરના ગડચિંચલે ગામના ૨૩ આરોપીની ધરપકડ કરીને વાડા પોલીસ-સ્ટેશનના લૉકઅપમાં રાખ્યા છે

મુંબઈ : પાલઘરમાં ટોળાએ બે હિન્દુ સાધુની સાથે ડ્રાઇવરની હત્યા કરવાના ચર્ચાસ્પદ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી ૧૧ આરોપીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી વાડા પોલીસ-સ્ટેશન અને બાજુમાં આવેલી તહસીલદારની ઑફિસને બે દિવસ સૅનિટાઇઝ કરવા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

સાધુઓની હત્યા કરવાના આરોપસર પાલઘરના ગડચિંચલે ગામના ૨૩ આરોપીની ધરપકડ કરીને વાડા પોલીસ-સ્ટેશનના લૉકઅપમાં રાખવામાં આવ્યા છે. આરોપીઓની કોવિડ-19 ટેસ્ટ માટે સ્વૉબ લેવામાં આવી હતી, જેમાંથી ૧૧ આરોપીને કોરોના-સંક્રમણ હોવાનું જણાયું હતું, જ્યારે અન્ય ૬ કેદીનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

એકસાથે ૧૧ આરોપીને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયા બાદ વાડા પોલીસ-સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો છે. આરોપીઓના સંપર્કમાં આવનાર પોલીસની પણ કોવિડ-19 ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની ટેસ્ટ પૉઝિટિવ આવતાં વાડા પોલીસ-સ્ટેશન અને બાજુમાં આવેલી તહસીલદારની ઑફિસને સૅનિટાઇઝ કરવા માટે બે દિવસ બંધ રાખવામાં આવી છે.

(1:34 pm IST)