Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લદાખ હિંસાઃ રાતના અંધારામાં થયેલી ઝડપમાં અનેક સૈનિકો નદીમાં કે ખીણમાં પડ્યા અને શહીદ થયા

ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતાં અને પૂરી તૈયારી સાથે આવ્યાં હતાં

નવી દિલ્હી, તા.૧૭: ભારત અને ચીન એશિયાના બે મોટા અને જવાબદાર દેશ છે. બંને દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ છે પરંતુ આ વિવાદ કયારેય એટલો ચરમસીમાએ નથી પહોંચ્યો કે ગોળીઓ  છૂટે. ૧૫મી જૂનની રાતે પણ એવું નથી બન્યું. આમ છતાં ભારતીય સેનાના ૨૦ જવાનોએ શહાદત વ્હોરી અને ચીનને પણ મોટા પાયે નુકસાન થયું. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીન ના પણ ૪૩ જેટલા સૈનિકોમાંથી ઘણા માર્યા ગયા, કેટલાક દ્યાયલ થયા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગલવાન ખીણમાં રાતના અંધારામાં થયેલી ઝડપોમાં અનેક સૈનિકો નદી કે ખીણમાં પડતા શહીદ થયાં. ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતાં અને પૂરી તૈયારી સાથે આવ્યાં હતાં.

ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને વિવાદ છે. ભારત અંગ્રેજોના જમાનાની મેકમોહન લાઈનને સરહદ રેખા ગણે છે. પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે સરહદ રેખા અનેક જગ્યાએ અનિર્ણિત છે. બંને દેશોની સેનાઓ સરહદે પોતાની જમીન હોવાના દાવા કરે છે. જો કે આ વિવાદ સ્થાયી રહેતો નથી. આ જ રીતે પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનની સેના આગળ વધીને કેમ્પ લગાવીને બેસી ગઈ હતી. ત્યારબાદ ભારત ચીન વચ્ચે અધિકારી સ્તરે વાતચીત શરૂ થઈ. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બને દેશની સેનાઓ એપ્રિલમાં જયાં હતી તે પોઝિશન પર પાછી ફરે.

ચીનનું રાજનીતિક અને વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભારત સાથેની પરસ્પર અંડરસ્ટેન્ડિંગના કારણે જૂની પોઝિશન પર પાછા ફરવા માટે તૈયાર હતું પરંતુ સરહદૈ તૈનાત ચીની સેનાને હજુ એવો ભ્રમ છે કે તેઓ ભારતીય સેના કરતા શકિતશાળી છે. જેનુ કારણ છે કે ચીની સૈનિકોને ટ્રેનિંગના સમયે ૧૯૬૨ના યુદ્ઘનો ઈતિહાસ ભણાવવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાને વધુ સક્ષમ માનવાના ભ્રમમાં રચ્યા પચ્યા રહે છે.

૧૫ જૂનની રાતે પણ આ જ થયું. ચીનની સેનાને પોતાના વરિષ્ઠ અધિકારીઓના નિર્ણય જરાય પચ્યા નહીં. કારણ કે તેમને લાગતું હતું કે સરહદ પર તેમની સંખ્યા વધુ છે આથી તેઓ શાં માટે પોતાની પોસ્ટ પરથી પાછળ હટે. પરંતુ તેમને એ વાતનો જરાય અંદાજો નહતો કે ભારતીય સૈનિકોનું આત્મબળ તેમના સંખ્યાબળ પર ભારે પડવાનું છે.

૧૫મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના ૨૦ સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતાં. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા કયારે ફરી રહ્યાં છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતાં.  ચીનની જે સૈન્ય ટુકડી સાથે સંતોષ બાબુ વાત કરવા ગયા હતાં તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો. જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગહ ૩૦૦થી ૩૨૫ જેટલા ચીની સૈનિકો હાજર હતાં.

સંતોષ બાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી કે ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયાં. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર ૨૦ જ છે અને તેઓ ૩૦૦ છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે. પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી.

ચીનના ૩૦૦ સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના ૨૦ સૈનિકોને દ્યેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોના હાથમાં ખિલ્લાવાળા મોજા પહેર્યા હતાં. તેમના ઈરાદા ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાના હતાં. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂકયા હતાં આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ ૨૦ સૈનિકો પર ઉતારવા માંગતા હતાં. પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ.

૨૦ ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના ૩૫ બીજા સૈનિકો હાજર હતાં. તેઓએ વાયરલેસ પર આ ઝડપનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયાં. ત્યારબાદ ૩૦૦ ચીની અને ૫૫ ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝડપ શરૂ થઈ.

બંને પક્ષમાંથી એક પણ જણે ફાયરિંગ કર્યું જ નથી. કારણ કે બંને તરફના સૈનિકો જાણતા હતાં કે ફાયરિંગના અવાજથી સમગ્ર સરહદ પર તૈનાત ભારત-ચીનની સેનાઓ એકબીજા પર હુમલો કરી દેશે. આથી બંને તરફના સૈનિકોએ પોતાના બાહુબળના આધારે જ મામલો પતાવવાનું નક્કી કર્યું. ઝીલની પાસે રહેલી કાચી પહાડી બંને દેશોના સૈનિકોની મારપીટ અને ઝડપથી ધણધણી ઉઠી. ચીની સૈનિકો વધુ સંખ્યામાં હતાં પરંતુ ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હોવા છતાં તેમનો જુસ્સો બુલંદી પર હતો. બંને ટુકડીઓ વચ્ચે થયેલી આ ઝડપમાં લાકડી-ડંડા, હોકી સ્ટિક, બેઝબોલ કલબ, ડ્રેગન પંચ, પાઈપ, ખિલ્લા, બૂટની અણી, કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયા, ખિલ્લાવાળા ડંડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો.

બને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ ચાલી રહી હતી પરંતુ આ જંગનું મેદાન બની બેઠેલી જગ્યા એટલે કે કાચી પહાડી આટલો બધો ભાર સહન કરી શકી નહીં. જયાં ચીની પોસ્ટ બની હતી તે ટેકરા જેવી જગ્યા ધસી પડી અને ત્યારબાદ ભારતીય અને ચીની સૈનિકો પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાં કે ખાઈમાં પડ્યાં. અત્રે જણાવવાનું કે લદાખમાં હવામાન ખુબ ઠંડુ છે અને તાપમાન ઝીરોની આસપાસ છે. અચાનક જમીન ધસી પડતા બંને પક્ષના સૈનિકોને ખુબ ગંભીર ઈજાઓ થઈ. જે મોટી સંખ્યામાં કેઝયુઅલ્ટીનું કારણ બની. ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હતાં આથી પહાડી ધસી પડતા ૨૦ સૈનિકો શહીદ થયાં. જયારે ચીનની સેનાની ટુકડીમાં ૩૦૦થી વધુ સૈનિકો હતાં. આથી તેમને ભારે નુકસાન પહોંચ્યું. હાલ તો ચીનને ૪૩ સૈનિકોનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. પરંતુ બની શકે કે મૃતક ચીની સૈનિકોની સંખ્યા ૫૦ ઉપર પહોંચી શકે. કારણ કે અનેક ચીની સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આજ દ્યાયલ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ચીની સેનાના હેલિકોપ્ટર વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતાં.

આ સમગ્ર દ્યટનાક્રમમાં એક ખાસ વાત એ જોવા મળી કે ફકત ૫૫ ભારતીય જાંબાઝ સૈનિકોએ એક પણ ગોળી ચલાવ્યાં વગર માત્ર પથ્થરો, લાકડી, ડંડાથી પોતાનાથી ૬ ગણા વધારે ચીની સૈનિકોને એવો તે પાઠ ભણાવ્યો કે તેમના હોશ ઠેકાણે આવી ગયાં. હવે ચીનની સેના કોઈ પણ હરકત કરતા પહેલા હજારવાર વિચારશે.

(11:33 am IST)