Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સૌરાષ્ટ્રમાં લોકમેળા ન યોજવા નિર્ણય

ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે ગુજરાત સરકારઃ શ્રાવણ માસમાં યોજાતા હોય છે ૧૦૦થી વધુ મેળાઃ રાજકોટનો લોકમેળો ૫૦ વર્ષમાં પહેલીવાર નહિ યોજાય

નવી દિલ્હી, તા.૧૭: શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રમાં થતા લોકમેળા દેશભરમાં જાણીતા છે અને લાખો લોકો આ મેળા માણવા આવે છે, પણ આ વર્ષે મેળા શોખીનોને સૌરાષ્ટ્ર આવવાનું બહાનું નહીં મળે, કારણે કે ગુજરાત સરકારે આ વર્ષે લોકમેળા નહીં યોજવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય આવતા એકાદ વીકમાં દરેક જિલ્લા-કલેકટરને મોકલી આપવામાં આવશે.

શ્રાવણ મહિનો ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર માટે મેળાનો મહિનો છે. આ મહિનો દરમ્યાન સૌરાષ્ટ્રમાં નાનામોટા ૧૦૦ થી વધુ મેળા યોજાય છે, જેની મજા લાખો લોકો માણે છે, પણ કોવિડ-૧૯નો કાળો કેર જયારે અત્યારે દુનિયાભરને ધ્રુજાવી રહ્યો છે એવા સમયે મેળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન શકય ન જ બને એવું લાગતાં ગુજરાત સરકારે લોકમેળાનું આયોજન કરવું નહીં એવો નિર્ણય લઇ લીધો છે. લોકમેળાઓમાં રાજકોટનો મેળો જગવિખ્યાત છે. આ વર્ષે એ મેળાનું પ્લાનિંગ શ્રાવણની છઠથી એટલે કે ૯ ઓગષ્ટથી થાય એવી શકયતા હતી. રાજકોટમાં થતા પાંચ દિવસના લોકમેળામાં ૧૦ લાખથી વધુ લોકો આવે છે અને રીતસર હૈયેહૈયું દળાઇ જાય એવો ઘાટ સર્જાય છે. જો આ વર્ષે એવી પરિસ્થિતિ ઉભી થાય તો કોવિડ-૧૯ના પેશન્ટસમાં જબરદસ્ત ઉછાળો આવે અને મેડિકલ ઇમર્જન્સી ઉભી થઇ થાય. આવું ન બને એ માટે રાજકોટ સહિતના લોકમેળા રદ કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યુ છે. છેલ્લા પ૦ વર્ષમાં એક પણ વખત એવું બન્યું નથી જેમાં રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો હોય.

(9:58 am IST)