Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

લખનઉમાં રાજનાથ સિંહ સામે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આપી ટિકિટ

સપાના ઉમેદવાર પૂનમ સિન્હા : ત્રિપાખીયો જંગ

નવી દિલ્હી, તા.૧૭: લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે કોંગ્રેસ દ્વારા ૩ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે લખનઉ બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય લીધો છે. લખનઉ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે, હવે લખનઉ બેઠક પર ભાજપના રાજનાથ સિંહની ટક્કર કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સપાના ઉમેદવાર પૂનમ સિન્હા સાથે થશે.

કોંગ્રેસે આ ઉપરાંત ઉત્તરપ્રદેશની કેસરગંજ અને મધ્યપ્રદેશની ઈન્દોર બેઠકના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. યુપીના કેસરગંજ પર કોંગ્રેસે વિનય કુમાર પાંડેયને ઉમેદવાર બનાવ્યા છે. અહીં ભાજપના બૃજભૂષણ શરણ સિંહ ચૂંટટણી લડી રહ્યા છે. જોકે, વિનય કુમાર પાંડેય શ્રાવસ્તીથી ચૂંટણી લડવા માગતા હતા, કેમ કે તેઓ અહીં ૨૦૦૯માં ચૂંટણી જીતી ચૂકયા છે.

ઈન્દોર બેઠક પર કોંગ્રેસે પંકજ સંઘવીને ટિકિટ આપી છે. આ સીટ પર હવે ભાજપના ઉમેદવાર પર સૌની નજર રહેશે. કેમ કે, આ સીટ પર ભાજપના સુમિત્રા મહાજન લાંબા સમયથી ચૂંટાતા આવ્યા છે અને તાજેતરમાં જ ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં ન આવતાં તેમણે સ્વચ્છાએ આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.

આમ, આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે કોંગ્રેસ અત્યાર સુધી કુલ ૪૦૭ ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે.

(10:32 am IST)