Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પૂનમ સિન્હા અંતે સમાજવાદી પાર્ટીમાં ઇન : સસ્પેન્સનો અંત

શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાયા બાદ પત્નિ સપામાં :રાજનાથસિંહની સામે લખનૌથી ચૂંટણી મેદાનમાં ઉતરશે

લખનૌ, તા. ૧૬ : કોંગ્રેસી નેતા શત્રુઘ્નસિંહાના પત્નિ પૂનમ સિંહા સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. શત્રુઘ્ન સિંહા પહેલાથી જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની ઉપસ્થિતિમાં પૂનમ સિંહા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાને લઇને ચર્ચા ચાલી રહી હતી. આની સાથે જ લખનૌ સીટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની સામે ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. સપાના વરિષ્ઠ નેતા રવિદાસ મહેરોત્રાએ જાહેરાત કરી હતી કે, લખનૌમાંથી પોતાના ઉમેદવારને ઉતારવાની જરૂર નથી. ભાજપને હરાવવા માટે કોંગ્રેસને પોતાના ઉમેદવાર ન ઉતારવા કહેવામાં આવ્યું છે. પૂનમ સિંહા ૧૮મી એપ્રિલના દિવસે ઉમેદવારી નોંધાવશે. રાજનાથસિંહની સામે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શત્રુઘ્નસિંહા કોંગ્રેસની ટિકિટ ઉપર પટણાસાહેબથી ચૂંટણી લડી રહ્યા છે. એમ પણ કહેવામાં આવે છે કે, કોંગ્રેસ પૂનમને સમર્થન આપી શકે છે. રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, લખનૌમાં મતદારોની સંખ્યા ખુબ મોટી છે. સિંધી સમાજના મતદારોની સંખ્યા પણ સવા લાખની આસપાસની છે જેથી કેટલાક નેતાઓ શત્રુઘ્નસિંહાના પત્નિને મેદાનમાં ઉતારવા માટે જાહેરાત કરી હતી. અખિલેશ યાદવ અને શત્રુઘ્નસિંહાની મુલાકાતમાં પૂનમના નામ ઉપર ચર્ચા થઇ હતી. શત્રુઘ્નસિંહાની એવી શરત હતી કે, કોંગ્રેસ પાર્ટી પણ પૂનમની સામે પોતાના ઉમેદવાર ઉભા ન કરે તો લાભ થશે. શત્રુઘ્નસિંહા હવે કોંગ્રેસ પાર્ટીમાં છે જેથી એમ માનવામાં આવે છે કે, કોંગ્રેસ પાર્ટીને મનાવી લેવામાં તેઓ સફળ રહેશે. રાજનાથસિંહને લખનૌમાં પરાજિત કરવાની બાબત ખુબ મુશ્કેલ દેખાઈ રહી છે.

 

 

 

 

(8:41 am IST)