Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

૨૦૦ રૂપિયાની નવી નોટ માટે એટીએમમાં ફેરફારનો આદેશ

આરબીઆઈએ તમામ બેંકોને વહેલીતકે કામ કરવા આદેશ કર્યો : ૨૦૦ રૂપિયાની નવી નોટનો પુરવઠો અતિ ઝડપથી વધારવામાં આવી રહ્યો છે : બેંકિંગ ઇન્ડસ્ટ્રીને હુકમને અમલી કરવા ૧૦૦૦ કરોડ ખર્ચ કરવા પડશે

મુંબઇ,તા. ૧૭ : રીઝર્વ બેંકે રૂપિયા ૨૦૦ની નોટના સપ્લાયને વધારી દેવા માટેની શરૂઆત કરી દીધી છે. આની સાથે જ આરબીઆઇએ હવે ૨૦૦ રૂપિયાની નવી નોટ માટે બેંકોને એટીએમમાં ફેરફાર કરવા માટે કહ્યુ છે. આ સમગ્ર મામલે સ્થિતી પર નજર રાખી રહેલા સુત્રોએ કહ્યુ છે કે આરબીઆઇના આદેશ બાદ અમલીકરણ માટે બેકિંગ ઇન્ડસ્ટ્રીઝને ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ ખર્ચ કરવી પડી શકે છે. બેંકો પર આ બોજ એવા સમય પર આવનાર છે જ્યારે બેંકો પહેલાથી જ બેડ લોનના કારણે પરેશાન છે. આ આદેશથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે આરબીઆઇએ બેંકો અને એટએમ મેન્યુફેકચર્સને કહ્યુ છે કે વહેલી તકે ૨૦૦ રૂપિયાની નોટ માટે એટીએમમાં ફેરફાર કરવામાં આવે. અમને ૨૦૦૦ રૂપિયાની નોટની સાથે સાથે ૨૦૦ રૂપિયાની નોટની પણ જરૂર દેખાઇ રહી છે. આરબીઆઇના આ પગલાને સારા પગલા તરીકે ગણી શકાય છે. નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણાંને લઇને કટોકટી સર્જાઇ ગઇ હતી. જો કે હવે સ્થિતી સામાન્ય બની રહી છે અને રૂપિયા ૨૦૦ની નવી નોટ પણ હવે આવી ચુકી છે. રૂપિયા ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટ લાવવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી હતી. હવે એટીએમને વ્યવસ્થિત કરવાની કામગીરી ટુંક સમયમાં ઝડપી બની શકે છે.આરબીઆઈના ડેટા મુજબ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ કરન્સી સરક્યુલેશન હવે પહેલાના તબક્કામાં પહોંચી ગયું છે. હાલમાં આ આંકડો ૧૭ લાખ કરોડ રૂપિયાનો છે. બેંકો એટીએમમાં ફેરફાર કરવા માટે ઇચ્છુક ન હતા. અલબત્ત તેમને આના ઉપર ૧૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. દેશમાં કુલ ૨.૨ લાખ એટીએમ છે. ૨૦૦ રૂપિયાના નવા નોટ મુકવા માટે એટીએમમાં ફેરફાર કરવા પડશે. આમા છ મહિનાનો સમય લાગી શકે છે. એટીએમ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એલ એન્ટોનીએ કહ્યું છે કે, એટીએમમાં ફેરફાર કરવાની હાલમાં શરૂઆત થઇ ચુકી છે. હિટાચી પેમેન્ટ સર્વિસના એમડીનું કહેવું છે કે, આ વખતે સમગ્ર યોજનાની સાથે એટીએમમાં ફેરફાર કરાશે. પહેલા એટીએમ ક્લસ્ટરની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેમાં ૨૦૦ રૂપિયાની નોટ મુકવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જો ઉતાવળમાં કામ કરવામાં આવશે તો તેના કારણે ખર્ચ અંદાજ કરતા વધી જશે. ભારત સરકાર અને આરબીઆઇ નાણાંની સાનુકુળતાને વધારી દેવા માટે વિવિધ પગલા લઇ રહી છે. એટીએમમાં હજુ સુધી મોટી નોટ જ નિકળે છે.

૧૦૦ રૂપિયા, ૫૦૦ રૂપિયા અને ૨૦૦૦ની નોટ મોટા  ભાગના એટીએમમાં નિકળે છે. પરંતુ હવે ૨૦૦ની નોટ પણ એટીએમમાં નિકળી શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યુ છે. સાથે સાથે સરકાર ૧૦ રૂપિયાની પ્લાસ્ટિકની નોટ પણ લાવવા માટેની યોજના ધરાવે છે. ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત સરકાર પહેલાથી જ લાવી ચુકી છે. સરકારે કહ્યુ છે કે સૌથી મોટી ૨૦૦૦ રૂપિયાની  નોટ બજારમાં યથાવત રીતે જારી રહેશે. આની સાથે જ કારોબારીઓમાં ચાલતી ચર્ચાનો હવે અંત આવી ગયો છે.

(12:24 pm IST)