Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નિર્ભયા ગેંગરેપ કેસના નરાધમોને પહેલી ફેબ્રુઆરીએ ફાંસી અપાશે

નવેસરથી ડેથ વોરંટ બાદ પહેલી ફેબ્રુઆરીએ ફાંસીનો આદેશ કરાયો : દોષિતોને આજથી ૧૪ દિવસ બાદ ફાંસી અપાશે : તિહાર જેલમાં જ સવારે ૬ વાગે ફાંસી અપાશે : વધુ કેટલીક કાયદાકીય ગૂંચવણ આખરે દૂર થઇ ગઈ

મુંબઇ, તા.૧૭ :  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય અપરાધીઓની સામે નવેસરથી ડેથ વોરંટ જારી કર્યું હતું. આ ગુનેગારોને હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે છ વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. ચારેયને પહેલા ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ એક દોષિતે દયાની અરજી દાખલ કરી હતી. દયાની અરજી દાખલ કરાયા બાદ નવી પ્રક્રિયા હેઠળ નવેસરથી ડેથ વોરંટ જારી કરવાની ફરજ પડી છે. આ પહેલા તિહાર જેલના અધિકારીઓએ આજે કોર્ટમાં દોષિતોની સામે મોતની સજા ઉપર ફરીથી ડેથ વોરંટ જારી કરવાની અપીલ કરી હતી. એડિશન સેશન જજ જસ્ટિસ સતીષકુમાર અરોરાએ જેલ વહીવટીતંત્રને કહ્યું હતું કે, નિર્ભયા મામલામાં ચારેય દોષિતો પૈકી મુકેશ કુમારને દયાની અરજી ફગાવી દેવામાં આવી હોવાની વાતથી વાકેફ કરવામાં આવ્યા છે કે કેમ. ઇરફાન અહેમદે કોર્ટને કહ્યું હતું કે, મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે.

           આ પહેલા દિલ્હીની એક અદાલતે ૭મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓને  મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. જો કે, આજે તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. કારણ કે, નવેસરથી ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા છે. પટિયાળા હાઉસ કોર્ટે ૭મી જાન્યુઆરીના દિવસે લાંબી સુનાવણી કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય નરાધમોને હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે તિહાર જેલમાં ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદથી કાયદાકીય દુવિધાઓ ફરી ઉભી થઇ હતી. ક્યુરેટિવ અરજીઓ અને દયાની અરજીઓ આવી હતી. આ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે. ગયા વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી તી. ૪થી મેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ બનાવની વરસીના દિવસે આ દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી.

          ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે. નિચલી કોર્ટે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે ચારેય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે ચારેય અપરાધી અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશની અપીલને ફગાવી દીધી હતી અને ફાંસીને માન્ય રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પહોંચી હતી જ્યાં પણ અપરાધીઓને કોઇ રાહત મળી ન હતી અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને માન્ય રાખી હતી.

કમકમાટીભર્યો કેસ.....

૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ શું થયું

*       ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે દિલ્હીમાં ગેંગરેપની ઘટના બની હતી

*       પેરામેડિકલની વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં કેટલાક નરાધમ દ્વારા અમાનવીય રીતે બળાત્કાર કરાયો હતો

*       વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ઘરે જવા માટે બસમાં બેસી ગયા બાદ તેના પર અત્યાચાર કરાયો હતો

*       બનાવમાં તે એટલી હદ સુધી ઇજાગ્રસ્ત થઇ હતી કે તેનુ થોડાક દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ મોત થયું હતુ

*       ૩૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે તેના મોત બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. ૧૩ દિવસ બાદ સિંગાપોરની હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું

*       એ વખતે હચમચી ઉઠેલી સરકારને તરત જ મહિલાઓ પર થતા અત્યાચાર કાયદામાં સુધાર કર્યા હતા

(7:33 pm IST)