Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મોદી ર૦મીએ વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા પર ચર્ચા કરશે

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ : આ વખતે માત્ર વિદ્યાર્થીઓને જ પ્રશ્નો કરવાની તક અપાશે

નવી દિલ્હી,તા. ૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જાન્યુઆરીના દિવસે વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા પર ચર્ચા કરનાર છે. આ  ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાનની સાથે આ કાર્યક્રમમાં આ વખતે અન્યોને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર નથી. વાતચીત અને ચર્ચા દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓની સાથે કેટલાક ખાસ મુદ્દા પર વાત કરશે. સાથે સાથે ઉપયોગી સલાહ સુચન પણ કરનાર છે.

માનવ સંશાધન વિકાસ  મંત્રાલયમાં સ્કુલી શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ આરસી મીણાએ કહ્યુ છે કે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની ત્રીજી એડિશન તૈયાર કરવામાં આવી રહી છે. મીણાએ કહ્યુ છે કે આ વખતે માત્ર વિદ્યાર્થીઓને જ વડાપ્રધાન સાથે પ્રશ્નો કરવાની તક રહેશે. આ કાર્યક્રમને હોસ્ટ કરવાની જવાબદારી પણ વિદ્યાર્થીઓની જ રહેશે.

એંકરિંગ માટે બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનિઓની પસંદગી કરવામાં આવી છે. પહેલા બે કાર્યક્રમના સંચાલન માટે પ્રોફેશનલ એન્કરને રોકવામાં આવ્યા હતા. મીણાએ કહ્યુ છે કે અમે દેશભરમાંથી નવમા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની આના માટે પસંદગી કરી છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ રાખવામાં આવી છે. જે તાલકટોરા સ્ટેડિયમ ખાતે સામેલ થનાર છે.

આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ લેખન અને ટેસ્ટના આધાર પર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ ૧૫ કરોડથી વધારે સ્કુલી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને લાઇવ નિહાળશે. જેના સંબંધમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જે વિદ્યાર્થીઓ સીબીએસઇ બેકગ્રાઉન્ડ ધરાવે છે પરંતુ બહાર અભ્યાસ કરી રહ્યા છે તે પણ આ કાર્યક્રમને નિહાળી શકશે. આ કાર્યક્રમ મારફતે વડાપ્રધાન પાસેથી કિંમતી સુચન મળવાની તક લઇ લેવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભિભાવકો આશાવાદી છે. 

(4:18 pm IST)