Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ફળો અને શાકભાજીથી નથી ફેલાતો વાઇરસ

કોરોના દર્દીઓના હાથમાં અડધા કલાક સુધી ફળો અને શાકભાજી રાખ્યાં: દર્દીઓએ મોઢામાં પણ રાખ્યાં: જયારે તપાસ કરી તો વાઇરસ ન મળ્યો : માસ્ક હટાવીને ખાંસી ખાધી, તેમ છતાં વાઇરસ ન મળ્યો : આ પહેલાં WHO અને સેન્ટ ફોર ડિઝીઝ કંટ્રોલ (CDC) પણ કહી ચૂકયા છે કે શાકભાજી અથવા ફળોના કારણે સંક્રમણ નથી ફેલાતું

ઇન્દોર, તા.૧૬: લોકડાઉન દરમિયાન કોરોના વાઈરસના નામે લોકોનાં મનમાં સૌથી વધુ બીક શાકભાજી અને ફળો માટે હતી. તંત્રએ ઘણી શાકભાજી અને ફળોને જપ્ત કરીને ફેંકાવી દીધાં હતાં, પણ અરબિંદો મેડિકલ કોલેજ સાથે જોડાયેલા ડોકટર્સે રિસર્ચ પછી દાવો કર્યો છે કે કોરોના શાકભાજી અને ફળોથી નથી ફેલાતો.

ન્યૂરોલોજિસ્ટ ડો. અજય સોડાની, ડો. રાહુલ જૈન, અને ડો. કપિલ તૈલગે આ રિસર્ચ કર્યું, જે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસિનમાં પણ પ્રકાશિત થયું છે. ડો. સોડાનીના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ માટે હોસ્પિટલમાં દાખલ અલગ અલગ ઉંમરના ૧૦ પોઝિટિવ દર્દીઓ સાથે પ્રયોગ કર્યા, જેમાં પાંચ મહિલા પણ હતી. આમાંથી એક દર્દી એવો પણ હતો, જેમાં લક્ષણ ન હતાં, જયારે અન્ય દર્દીઓને તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ તમામ એ હતા જેમનો રિપોર્ટ બેથી પાંચ દિવસ પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો.

રિસર્ચ માટે શાકભાજી-ફળના બજાર જેવો માહોલ ઊભો કરાયો. ડો. સોડાનીએ જણાવ્યું કે આ દર્દીઓ સામે ફળ અને શાકભાજી ભરેલી એક ટ્રે ૩૦ મિનિટ સુધી રાખી. દર્દીઓના માસ્ક હટાવ્યા અને હાથમાં ખાંસી ખાવા માટે કહ્યું. ત્યાર પછી તેમના હાથમાં ફળો અને શાકભાજી રાખી દીધાં. દ્યણાએ મોઢામાં પણ રાખ્યાં. તેમની પાસે આ પ્રક્રિયા પાંચ વખત કરાવડાવી.

પછી આ ફળ-શાકભાજીને ટ્રેમાં રાખીને એક કલાક માટે છત પર રાખ્યાં, જયાં પ્રાકૃતિક હવા હતી, પણ સૂર્યનો પ્રકાશ સીધો નહોતો પડી રહ્યો. એક કલાક પછી ફળ-શાકભાજીની સપાટી પરથી સેમ્પલ લેવાયાં અને તેને RTPCR તપાસ માટે મોકલી દેવાયાં. એકપણ ફળ કે શાકભાજીમાં સંક્રમણ જોવા મળ્યું નથી. આ આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરાવડાવી.

આ પહેલાં WHO અને સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ પણ કહી ચૂકયા છે કે શાકભાજી અથવા ફળોને કારણે વાઈરસ નથી ફેલાતો. તેમ છતાં લોકોએ શાકભાજી અને ફળ ખરીદવાનું બંધ કરી દીધું. ડુંગળી બટાકાથી કામ ચલાવ્યું, જેની અસર એ થઈ કે ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓના દર્દીઓને અન્ય તકલીફોએ ઘેરી લીધા.

અરબિંદો હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના મુખ્ય ડો. અજય સોડાનીએ જણાવ્યું કે ફળ-શાકભાજીના સંક્રમણની વાતો સામે આવી તો અમે તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો. એ જ રૂમમાં આ અભ્યાસ કરવામાં આવ્યો. આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. અહીં સુધી કે લેબમાં જયારે સેમ્પલ મોકલ્યાં, તો પણ ગોપનીય રાખ્યાં.

(3:58 pm IST)