Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અયોધ્યા ટાઇટલ વિવાદ વર્ષોથી પેન્ડિંગ જ રહ્યો છે

વર્ષોથી જુદી જુદી દલીલો રજૂ કરાઈ છે : ૨૦૧૦માં વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વહેંચી દેવાનો અલ્હાબાદ હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

નવી દિલ્હી,તા. ૧૬ : અયોધ્યાના ઐતિહાસિક જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આખરે સુનાવણી પરિપૂર્ણ થઇ ચુકી છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો અનામત રાખી દીધો છે. સીજેઆઈ આગામી મહિને ૧૮મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થવા જઈ રહ્યા છે.

             સુપ્રીમ કોર્ટે પણ વારંવાર જુદા જુદા સુચનો કર્યા છે. જેના આધાર ઉપર મધ્યસ્થતા પણ થઈ ચુકી છે. છેલ્લે ૧૫૫ દિવસ મધ્યસ્થતા ચાલી હતી પરંતુ સફળતા મળી નથી. હવે જુદા જુદા પક્ષો તરફથી રજુઆત થશે. નિરમોહી અખાડા, રામ લલા વિરાજમાન, મુસ્લિમ પક્ષો તરફથી રજુઆત કરવામાં આવશે. ખુબ જ જટિલ અને સંવેદનશીલ કેસ વર્ષોથી પેન્ડિંગ રહેલો છે. રામ મંદિર માટે થયેલા આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલો ખુબ જુનો છે. સમગ્ર મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ પણ ચાલે છે. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો જેમાં વિવાદાસ્પદ જમીનને ત્રણ સરખા હિસ્સામાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી આ સમગ્ર મામલે યથાસ્થિતિ રાખવામાં આવી છે.

             કોઈ વધારે પ્રગતિ થઈ શકી નથી. ૯મી મે ૨૦૧૧ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો.  તમામ પક્ષોની અરજીઓ સુપ્રીમમાં રહેલી છે. અયોધ્યા મામલામાં ટાઇટલ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં તમામ પક્ષકારો તરફથી વિશેષ મંજુરી અરજી દાખલ કરવામાં આવી હતી. અયોધ્યાના વિવાદાસ્પદ માળખાને લઇને હાઈકોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ તમામ પક્ષકારો તરફથી સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

(7:57 pm IST)