Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભાજપના ઘણા સાંસદ અને ધારાસભ્યો સીધા સંપર્કમાં

અખિલેશે દાવો કરી ભાજપની ચિંતા વધારી :ઉત્તરપ્રદેશમાં પાર્ટી વધુ સારો દેખાવ કરવા માટે સુસજ્જ

 કાનપુર, તા. ૧૫ : લોકસભા ચૂંટણીથી થોડાક મહિના પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના એક નિવેદનથી ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ વધારી દીધું છે. અખિલેશે કહ્યું છે કે, ભાજપના અને સાંસદ અને ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અખિલેશે પોતાના કાકા શિવપાલ યાદવ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, શિવપાલ યાદવની પાર્ટી ભાજપની બી ટીમ તરીકે છે. ભાજપ ગઠબંધનને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાંથી ૭૩ સીટો મળી હતી. અલબત્ત ત્રણ સીટો ઉપર પેટાચૂંટણીમાં તેની હાર થઇ હતી. આ સ્થિતિમાં અખિલેશનો દાવો છે કે, ભાજપ માટે ૨૦૧૯માં વધારે મુશ્કેલી થઇ શકે છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે અલ્હાબાદનું નામ બદલવાના નિર્ણય ઉપર યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. કાનપુરમાં અખિલેશે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના લોકોએ કુંભ અને અલ્હાબાદ બંનેનું નામ બદલી દીધું છે. અર્ધકુંભને કુંભ તરીકે ગણાવીને ભાજપે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. એસપીથી અલગ થઇને સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી ચુકેલા શિવપાલ યાદવ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. આના ઉપર ટિપ્પણી કરતા અખિલેશે કહ્યું હતું કે, અમે ચારેબાજુ જોઇ રહ્યા નથી.

ભાજપ સહિત તેમની એબીસીડી કેટલીક ટીમો રહેલી છે. પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવતા અખિલેશે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની ભાષા ખુબ જ કઠોર છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર ભાજપ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા માટે લોખંડ અને અન્ય ચીજો આપવામાં આવી છે. ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા અખિલેશે કહ્યું હતું કે, સરકાર ગંગાને સ્વચ્છ કરવા માટે તારીખો વારંવાર બદલી રહી છે. ગંગાની સફાઈ માત્ર સમાજવાદી પાર્ટી જ કરી શકશે. સ્માર્ટ સિટીના નામ ઉપર ગંદગી સાથે વધુ ગ્રસ્ત સિટી બનાવી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાના પ્રશ્ને અખિલેશે કહ્યું હતું કે, તેમની પાર્ટીનો હેતુ ચોથા નંબરની પાર્ટી કરતા વધારે સારો દેખાવ કરવાનો છે.

(8:10 pm IST)