Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

અમદાવાદમાં ટી-20 માં દર્શકોને પ્રવેશ નહીં અપાય પ્રવેશ : GCA નો મોટો નિર્ણય : કોરોના કેસ વધતા દર્શકો વિના જ ત્રણેય મેચ રમાશે

સોશિયલ મીડિયામાં લોકોના વિરોધ અને રાજ્ય સરકાર પર પણ સવાલો ઉઠતા ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો

અમદાવાદ : રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં બે મેચ રમાઈ ચુકી છે. હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે. આ મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે તો બીજી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. હાલ સિરીઝ 1-1થી બરોબર છે. હવે આગામી 16, 18 અને 20 માર્ચે બાકીની ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે આ તમામ મેચ બંધ બારણે રમાશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારથી દર્શકોને છૂટ મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે 50 ટકા દર્શકોને હાજરી આપવામાં આવશે. આ વચ્ચે પ્રથમ બે ટી20 મેચમાં સામે આવેલી તસવીરો ચોંકાવનારી હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યાં હતા. તો માસ્ક વગર સ્ટેડિયમમાં હાજર રહેતા હતા. જેથી કોરોના ફેલાવાનો ભય હતો. તો સોશિયલ મીડિયામાં લોકો વિરોધ પણ કરી રહ્યાં હતા. રાજ્ય સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યાં હતા. આ તમામ વિરોધ વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. 

(12:00 am IST)