Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના અંગે સરકારનો નિર્દેશ

૨૪ કલાકમાં ૨ ટેસ્ટ નેગેટીવ, તો જ થશે ડિસ્ચાર્જ

વાયરસ ફેલાય નહિ એ માટે સરકારે બનાવી નવી પોલીસી

નવી દિલ્હી તા. ૧૬ : કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના વધતા જતા કેસને જોતા નવી ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી છે. જે મુજબ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસની સારવાર આ પોલિસીના પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે તેમજ તેમને હોસ્પિટલમાંથી રજા પણ તો જ આપવામાં આવશે જો ૨૪ કલાકમાં દર્દીના બે ટેસ્ટ નેગેટિવ આવશે અને છાતીના રેડિયોગ્રાફિક અને શ્વસનતંત્રના વાયરલ કિલયરન્સના પૂરાવા મળશે.

કોરોના વાયરસના શંકાસ્પદ કેસમાં જો દર્દીનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવે તો ડોકટરના સૂચન મુજબ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે જોકે આવા દર્દીઓને તેમના ઘરની અંદર ૧૪ દિવસના ઓબ્ઝર્વેશનમાં મુકવામાં આવશે. દેશમાં એક તરફ કોરોના વાયરસના ૧૧૫ કેસ થયા હોવાના અહેવાલ વચ્ચે આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ કુલ ૧૦૭ જેટલા કન્ફર્મ કેસ છે. જે શનિવારના આંકડાની સરખામણીએ ૨૩ જેટલા કેસ વધ્યા છે.

ડેટા મુજબ ૧૦૭ દર્દીઓ પૈકી ગઈકાલના દિવસમાં કોઈનું મૃત્યુ થયું નથી જયારે કોઇ પણ દર્દી રોગમુકત થયો નથી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસમાંથી ૧૦ દર્દીઓ સાજા થઈ ગયા છે જયારે ૨ વ્યકિતના મોત થયા છે. જેના કારણે દેશમાં હાલ ૯૫ જેટલા કોવિડ-૧૯ના એકિટવ કેસ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 'કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાનું કામ ખૂબ જ ચુસ્તપણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આવા ૪૦૦૦ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમને અન્ડર સર્વેલન્સ રાખવામાં આવ્યા છે.' જયારે મહારાષ્ટ્રના બુલદાનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલના ટેસ્ટ પરિણામ નેગેટિવ આવ્યા છે. જેથી તેનું મૃત્યું કોરોના વાયરસને કારણે ન થયું હોવાનું જણાવાયું છે.

(11:47 am IST)