Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પૂર્ણ રાજકીય સન્માન સાથે શહીદોની અંતિમ વિધિ થઈ

અંતિમ સંસ્કારમાં ભારત માતા કી જયના નારા ગુંજ્યા : ભાવનાશીલ માહોલમાં પોત પોતાના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરાયા : હજારો લોકો ઉમટ્યા : શોકમગ્ન માહોલ

નવી દિલ્હી,તા. ૧૬ : જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનો આજે તેમની અંતિમ સફર પર નિકળ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં લોકો જોડાયા હતા. હજારો લોકો અંતિમ યાત્રા વેળા માર્ગની બંને બાજુએ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા ધ્વજ સાથે આવ્યા હતા. રાજસ્થાનના પાંચ સીઆરપીએફ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના વતન ગામોમાં કરાયા હતા. અંતિમ સંસ્કાર વેળા ભારત માતા કી જય, વંદે માતરમ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. દિલ્હીથી તમામ શહીદ જવાનોના પાર્થિવ શરીર તેમના વતન ગામ પહોંચ્યા ત્યારે તેમના પરિવારના સભ્યો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. જયપુર જિલ્લાથી રોહિતાસ લાંબા, રાજસમન જિલ્લાના નારાયણલાલ ગુર્જર, ભરતપુર જિલ્લાના જીતરામ, ધોલપુર જિલ્લાના ભાગીરથસિંહ અને કોટાના હેમરાજ મીણાના મૃતદેહ આજે તેમના વતનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમયાત્રા યોજવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં પણ શહીદ જવાનોના પાર્થિક શરીર તેમના આવાસ પર પહોંચ્યા હતા અને મોડેથી તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા ત્યારે તમામ જવાનોના વતન ગામોમાં લોકો ઉમટ્યા હતા. ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગર જિલ્લામાં વિરેન્દ્રસિંહ શહીદ થયા હતા. તેમના ત્રણ વર્ષના પુત્રએ અગ્નિદાહ આપ્યો હતો. સવારથી જ તેમના આવાસ ઉપર લોકો ઉમટ્યા હતા. વિરેન્દ્રસિંહ ગયા સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાં તેમની ફરજ ઉપર ફરી હાજર થયા હતા. ૨૦ દિવસની રજા ગાળીને હાલમાં જ પરત ફર્યા હતા. બીજી બાજુ પંજાબના રૂપનગરના ૨૬ વર્ષીય કુલવીન્દરસિંહને પણ અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના વતન ગામ નુરપુરબેદી વિસ્તારમાં રૌલી ગામાં અંતિમ સંસ્કાર કરાયા હતા. કુલવીન્દરસિંહ સીઆરપીએફના કોન્સ્ટેબલ હતા. તેમના ઘરમાં પણ લોકોનો ધસારો જોવા મળ્યો હતો. કુલવીન્દરના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે તેમના જેની સાથે લગ્ન થનાર હતા તે કુલવીન્દર બેભાન થઈ ગઈ હતી. આવી જ રીતે પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના એએસઆઈ મોહનલાલને પણ અંતિમ વિદાય અપાઈ હતી. હરિદ્વારના ખરખારી સ્મશાન ગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. મોહનલાલના પુત્ર શંકર રતોરી અને રામપ્રસાદ રતોરીએ અગ્નિદા આપ્યો હતો. તે વખતે વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા. આગ્રામાં સીઆરપીએફના જવાન કૌશલકુમારના અંતિમ સંસ્કારમાં પણ લોકો ઉમટી પડ્યા હતા. જેમાં સરકારી અધિકારીઓ, રાજકારણીઓ જોડાયા હતા. ગુરદાસપુરના ૨૮ વર્ષીય મનિન્દરસિંહના અંતિમ સંસ્કાર પણ તેમના ગામમાં સંપૂર્ણ સમ્માન સાથે કરાયા હતા. આજે સવારે દીનાનગરમાં તેમના મૃતદેહને તેમના વતનગામ આલિયાનગરમાં લઈ જવાયા હતા. મનીન્દરના નાના ભાઈ લખવીરસિંહે અગ્નિદા આપ્યો હતો. લખવીરસિંહે પોતે પણ સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા છે. આવી જ રીતે ઓરિસ્સાના જવાનને પણ સંપૂર્ણ સન્માન સાથે વિદાય અપાઈ હતી. પ્રસન્નકુમાર અને મનોજકુમારને વિદાય આપવામાં આવી હતી. અગાઉ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ શરીરને શુક્રવારે દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્રણેય સેનાના વડા, સંરક્ષણ પ્રધાન તેમજ અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ  પ્રમુખ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. સંપૂર્ણ રાજકીય રીતે સન્માન આપવામાં આવ્યા બાદ તેમના પાર્થિવ શરીને તેમના વતન ગામમાં લઇ જવા માટેની તૈયારી કરવામાં આવી હતી. તમામના પાર્થિવ શરીરને તેમના વતન ગામમાં આજે લઇ જવામાં આવ્યા બાદ લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા. તમામના પાર્થિવ શરીરને તેમના વતન ગામ પહોંચાડી દેવામાં આવ્યા બાદ ગામમાં ગમ અને આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. પરિવારમાં પહાડ તુટી પડે તેવી સ્થિતી જોવા મળી હતી. મોડેથી તમામના પરિવારના સભ્યોએઅ તેમની વિધી મુજબ અંતિમસંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં લોકો ઉમટી પડ્યા હતા.નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ  એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.  ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને તક મળતાની સાથે જ સ્થાનિક લોકોની મદદથી હુમલાને અંજામ આપવામાં સફળ રહે છે.

(7:57 pm IST)