Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સ્વામી વિવેકાનંદના યોગદાનને ભુલી ન શકાય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : નફરત, હિંસા, સંઘર્ષ અને ત્રાસવાદથી મુક્તિની રાહ જોઈ રહેલા વિશ્વ માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે

કોઝીકોડે, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુક્તિની રાહ જોઈ રહેલી દુનિયા માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષોને તાકાતની જગ્યાએ વાતચીતની શક્તિથી ટાળવાની ભારતીય શૈલી છે. આઈઆઈએમ કોઝીકોડેમાં ગ્લોબલાઇઝિંગ ઇન્ડિયન થોટ વિષય પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ભારતની ધરતીએ દુનિયાનું સ્વાગત કર્યું છે. જ્યાં તમામ સભ્યતાઓ સમૃદ્ધ થઇ શકી નથી જ્યારે આપણી સભ્યતા ફુલી-ફાલી રહી છે કારણ કે, અહીં શાંતિ અને સદ્ભાવના દર્શન થાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઘૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુક્તિની રાહ જોઇ રહેલી દુનિયાને ભારતની જીવન શૈલી આશાની કિરણ આપે છે. સંઘર્ષને તાકાતથી નહીં પરંતુ વાતચીતની શક્તિથી ટાળવાની ભારતીય કળા છે. પહેલા વડાપ્રધાને આઈઆઈએમ કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

              વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય વિચાર ગતિશીલ અને વિવિધતાવાળો છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક આદર્શ ભારતીય મૂલ્યોનું કેન્દ્રીય બિંદુ બનેલું છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મુલ્યોમાં દયા, સદ્ભાવ, ન્યાય, સેવા અને નિખાલસતાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, ૨૦મી સદીમાં મહાત્મા ગાંધીએ આજ આદર્શોનું પાલન કર્યું અને જેણે ભારતની આઝાદીમાં ભૂમિકા ભજવી હતી. તેજ સમય આદર્શોએ બહારના કરોડો લોકોને તાકાત આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતીય વિચારોના વૈશ્વિકરણમાં તેમનાયોગદાનને ભુલી શકાય તેમ નથી.

(7:55 pm IST)