Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જૈશના આતંકવાદીઓ લશ્કરી છાવણી પર હુમલો કરે તેવી શકયતા

૨૬ જાન્યુ.નું પર્વ લોહીથી રંગવા કારસો

નવી દિલ્હી, તા.૧૬: જૈશ એ મુહમ્મદના આતંકવાદીઓ ફરી એકવાર ઊરી જેવો હુમલો જમ્મુ કશ્મીરમાં લશ્કરી છાવણી પર કરવાનું કાવતરું રચી રહ્યા હોવાની બાતમી મિલિટરી ઇન્ટેલિજન્સને મળી હતી.

પ્રજાસત્તાક દિન કે એની આસપાસ આવો હુમલો કરવાની તૈયારી હિજબુલ મુજાહિદ્દીન અને જૈશના આતંકવાદીઓ કરી રહ્યા હોવાની આ બાતમી પછી લશ્કરી અધિકારીઓને સાબદા કરી દેવામાં આવ્યા હતા.

મિલિટરી ઇન્ટેલિજન્સને મળેલા ખાનગી દસ્તાવેજો અને આતંકવાદીઓ વચ્ચેની વાતચીતને વચ્ચેથી આંતર્યા બાદ આ માહિતી પાક્કી હોવાનું લશ્કરી અધિકારીઓને સમજાયું હતું. આતંકવાદીઓ ફિદાયિન હુમલો કરે એવી શકયતા હતી.

ઊરીમાં કરાયેલા હુમલા જેવો મોટો હુમલો ભારતીય લશ્કરની છાવણી પર કરીને વાતાવરણને બગાડવાની આતંકવાદીઓની તૈયારીની માહિતીએ સિકયોરિટી દળોને ચોંકાવ્યા હતા. જો કે આગોતરી માહિતી મળી જતાં આપણા સિકયોરિટી દળો પૂરતી પૂર્વતૈયારી કરી રહ્યા હતા એમ જાણવા મળ્યું હતું.

આતંકવાદીઓની નજર સોપિયાં વિસ્તારમાં ૪૪ રાયફલ્સની ટુકડી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ હુમલાનું આયોજન કરવાની જવાબદારી યાસિર પારેને આપવામાં આવી હતી. હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ બંને મળીને આયોજન કરી રહ્યા છે. એક જૂથ બીજા જૂથને પાછળથી ટેકો અને સહાય આપશે એવી આ ગોઠવણી છે.

(3:34 pm IST)