Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ કરવાની શરૃઆત

ધામમાં પૂજા બાદ પ્રથમ નિયમ મુજબ ગણેશ મંદિરના દરવાજા બંધ કરાશે : ૧૯ નવેમ્બરે બપોરે દરવાજા બંધ કરી દેવાશે, બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં ૧૭ લાખ ૩૪ હજાર ૫૬૧ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે

કેદારનાથ, તા.૧૫ : ચાર ધામમાંનાં એક બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે ૧૯ નવેમ્બરે બપોરે ૩.૩૫ કલાકે બંધ કરવામાં આવશે. આજથી એટલે કે ૧૫મી નવેમ્બરથી ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૃ થશે. બીજી તરફ બદ્રીનાથ ધામના દરવાજા બંધ થવાના અવસર પર ચમોલી જિલ્લામાં ૧૯ નવેમ્બરે રજા રહેશે. તમામ શાળાઓ બંધ રહેશે અને સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ બંધ રહેશે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં ૧૭ લાખ ૩૪ હજાર ૫૬૧ શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરી ચુક્યા છે. મંગળવારે ધામમાં પૂજા કર્યા બાદ પ્રથમ નિયમ મુજબ ગણેશ મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.

આ પછી આદિ કેદારેશ્વર અને લક્ષ્મી મંદિરના દરવાજા બંધ થઈ જશે. બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા બાદ યોગ ધ્યાન બદ્રી મંદિર પાંડુકેશ્વર અને નૃસિંહ મંદિર જોશીમઠમાં શિયાળામાં બદ્રીનાથની પૂજા થશે. બીજી તરફ પ્રભારી અધિકારી ચંદન બંકોટીએ જણાવ્યું હતું કે જનતાની લાગણી અને આસ્થાને ધ્યાનમાં રાખીને ૧૯ નવેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસે, દરવાજા બંધ થવા દરમિયાન સ્થાનિક શ્રદ્ધાળુઓ પણ બદ્રીનાથના દર્શન કરી શકશે.

(7:37 pm IST)