Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા વેન્ચર માટે ૧.૫૧ કરોડ લીધાનો આરોપ

ફરી મુશ્કેલીમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા : એક બિઝનેસમેને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

નવી દિલ્હી, તા.૧૪ :શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ લઈ રહી નથી. શિલ્પા અને રાજ પહેલાથી જ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયેલા છે. થોડા અઠવાડિયા પહેલા જ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા જામીન પર મુક્તછ થયો હતો અને વધુ એક મુશ્કેલી સામે આવી પડી છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, એક બિઝનેસમેને કપલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને ૧.૫૧ કરોડ રૂપિયા માગ્યા છે.

આરોપ છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ તેમના વેન્ચર માટે દેશભરના રોકાણકારો પાસેથી પૈસા લીધા હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે ૧.૫૧ કરોડ રૂપિયા પરત કરવાની માગ કરી ત્યારે શિલ્પા અને રાજે તેને ધમકી આપી હતી.

જેલમાંથી મુક્ત થયા બાદ, રાજ કુંદ્રા આ અઠવાડિયની શરૂઆતમાં પતિ શિલ્પા શેટ્ટી સાથે પહેલીવાર જાહેરમાં દેખાયો હતો. કપલે હિમાચલ પ્રદેશના ધર્મશાલાના ચામુંડા માતાના મંદિરના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. મુંબઈ પરત ફરતી વખતે શિલ્પા શેટ્ટી એરપોર્ટ પર એકલી દેખાઈ હતી જ્યારે તેમના બાળકો અને રાજ તેની સાથે નહોતા. શુક્રવારે રાજ કુંદ્રા મુંબઈની રમકડાની એક દુકાનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેણે દીકરી સમિષા માટે રમકડા ખરીદ્યા હશે તેમ લાગતું હતું.

પોર્ન ફિલ્મો બનાવવી અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે મુંબઈ પોલીસે જુલાઈ મહિનામાં રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. ૪૫ વર્ષીય બિઝનેસમેનને બે મહિના બાદ મુક્ત કરવામાં આવ્યો હતો. બે મહિનામાં શિલ્પા શેટ્ટી અનેકવાર ટ્રોલ થઈ હતી. કોન્ટ્રોવર્સી અંગે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને પરિવારની પ્રાઈવસી જાળવવાની વિનંતી કરી હતી. તેણે લખ્યું હતું 'સેલિબ્રિટી તરીકેની મારી ફિલોસોફી રહી છે કે, 'ક્યારેય ફરિયાદ ના કરો અને સ્પષ્ટતા પણ ના કરો' અને હું આને વળગી રહીશ. હું એટલું જ કહેવા માગુ છું કે આ કેસની તપાસ હજી ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ તેમજ ભારતની ન્યાય વ્યવસ્થા પર પૂરતો વિશ્વાસ છે. પરિવાર તરીકે અમે કાયદાકીય ઉપાયોના તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ ત્યાં સુધી હું તમને વિનમ્રતાથી વિનંતી કરું છું, ખાસ કરીને એક મા તરીકે અપીલ કરું છું કે, મારા બાળકોનો વિચાર કરીને અમારી પ્રાઈવસીનું માન જાળવો. અધૂરી માહિતીની પુષ્ટિ કર્યા વિના તેને છાપવાનું ટાળો તેવી વિનંતી છે'.

(12:00 am IST)