Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પૂંચમાં પાકિસ્તાનના ફરી પ્રચંડ ગોળીબારમાં ૧ મોત

ભારતીય સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી કરી : આતંકવાદીઓને ઘુસાડવાના હેતુસર અંકુશરેખા પર સતત ગોળીબાર : નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવી ગોળીબાર

જમ્મુ, તા. ૧૫ : જમ્મુ કાશ્મીરમાં તંગદિલી ફેલાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને આજે ફરી એકવાર અંકુશરેખા સાથે જોડાયેલા તમામ વિસ્તારમાં ભીષણ ગોળીબાર કર્યો હતો જેથી નાગરિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પાકિસ્તાને જમ્મુ ડિવિઝનના પૂંચ જિલ્લાથી જોડાયેલી એલઓસી પર નાગરિક વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારના સકંજામાં આવી જવાના કારણે એક સ્થાનિક મહિલાનું મોત થયું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબાર બાદ ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાએ બુધવારના દિવસે પુંચ જિલ્લાના અંકુશરેખા પર બે સેક્ટરોમાં મોર્ટાર ઝીંક્યા હતા. પાકિસ્તાની જવાનોએ આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. આ ગાળા દરમિયાન પાકિસ્તાની રેન્જરોએ પૂંચ જિલ્લાના નાગરિક વિસ્તારો અને કરણી સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ૧૪મી ઓક્ટોબરના દિવસે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીર કઠુઆ જિલ્લામાં સતત ગોળીબાર કર્યો હતો. આ ગાળા દરમિયાન નાગરિક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. શુક્રવારના દિવસે પણ અંકુશરેખા પર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો જેમાં એક જવાનનું મોત થયું હતું.

              બીજી બાજુ ભારતીય સેનાના નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરના કહેવા મુજબ એલઓસી નજીક પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આશરે ૫૦૦ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવા માટેના પ્રયાસમાં છે. સિંહે કહ્યું હતું કે, આતંકવાદીઓની સંખ્યા એલઓસી નજીક ટ્રેનિંગ કેમ્પો મુજબ ઓછી અને વધારે હોય છે. તેમની ગણતરી કરવી ખુબ મુશ્કેલ હોય છે. અમારા સુરક્ષા દળો શાંતિ અને સામાન્ય સ્થિતિ જાળવી રાખવા માટે સંપૂર્ણપણે સજ્જ બનેલા છે. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી  બાદથી અવિરતપણે ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. જો કે, તેને સંપૂર્ણપણે સફળતા હાથ લાગી રહી નથી. સુરક્ષા દળો આંતરિક વિસ્તારોની સાથે સાથે અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સંપૂર્ણપણે મજબૂતી સાથે છે જેથી આતંકવાદીઓ તેમની ગતિવિધિમાં સફળ સાબિત થઇ રહ્યા નથી. રાજ્યમાં છુપાયેલા આતંકવાદીઓ પણ તેમના કાવતરામાં સફળ પુરવાર થઇ રહ્યા નથી.

(8:01 pm IST)