Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મોદી-જેટલીએ ઘટતા રૂપિયાને રોકવા શોધી ફોર્મ્યુલા

કેન્દ્ર સરકારે વિદેશોમાંથી લોન લેવાના નિયમો હળવા કરવાનો અને બિન-જરૂરી આયાતો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે

નવીદિલ્હી, તા.૧૫: કેન્દ્ર સરકારે વિદેશોમાંથી લોન લેવાના નિયમો હળવા કરવાનો અને બિન-જરૂરી આયાતો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. રૂપિયામાં ઘટાડા અને ચાલુ ખાતાની વધતી ખોટ પર અંકુશ લગાવવાના હેતુથી આ પગલાં લેવાયા છે. અર્થવ્યવસ્થાની હાલતની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

નાણાંમંત્રી અરૂણ જેટલીએ બેઠક બાદ કહ્યું કે, 'વડાપ્રધાનને રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ અને નાણાં મંત્રાલયના અધિકારીઓએ સ્થિતિની જાણકારી આપી છે. આ નિર્ણયનો હેતુ ચાલુ ખાતાની ખોટ (કૈડ) પર અંકુશ લગાવવાનો અને વિદેશી મુદ્રા પ્રવાહ વધારવાનો છે, તે સાથે જ સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવાનો અને બિન-જરૂરી આયાત પર અંકુશ લગાવવાનો પણ નિર્ણય લીધો છે.'

જોકે, જેટલીએ એ ન જણાવ્યું કે, કઈ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવાશે. તેમણે કહ્યું કે, 'વધતા કૈડના મામલાના સમાધાન માટે સરકાર જરૂરી પગલાં ઉઠાવશે, તે અંતર્ગત બિન-જરૂરી આયાતમાં કાપ અને નિકાસ વધારવાના ઉપાય કરવામાં આવશે. જે વસ્તુઓની આયાત પર અંકુશ લગાવાશે, તે વિશે નિર્ણય સંબંધિત મંત્રાલયો સાથે વિચાર-વિમર્શ પછી કરવામાં આવશે. તે ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંગઠન)ના નિયમોને અનુરુપ હશે.'

ઉલ્લેખનીય છે કે, અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો ૧૨ સપ્ટેમ્બરે રેકોર્ડ ૭૨.૯૧ સુધી નીચે ગયો હતો. શુક્રવારે તે ૭૧.૮૪ પર બંધ થયો. રૂપિયો ઓગસ્ટથી લઈને અત્યાર સુધી લગભગ ૬ ટકા તૂટ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા છે.(૨૨.૫)

(12:03 pm IST)