Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

શેરબજારમાં તેજી : સેંસેક્સે ૩૮૦૦૦ની સપાટી કુદાવી

સેંસેક્સ ૩૮૦૨૪ની ઉંચી સપાટી બંધ રહ્યો : સેસેક્સમાં ૨૬૯ પોઇન્ટનો મોટો ઉછાળો : નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળી ૧૧૪૨૬ની સપાટી પર : કારોબારી ખુશ

મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં આજે પણ તેજીનો દોર સતત પાંચમાં દિવસે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. બીએસઈના ૩૧ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ફરી એકવાર ૩૮૦૦૦ના આંકડાને પાર કરી ગયો હતો. સેંસેક્સ ૨૬૯ પોઇન્ટ અથવા તો ૦.૭૧ ટકાના ઉછાળા સાથે ૩૮૦૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)ના ૫૦ કંપનીઓના શેર આધારિત નિફ્ટી ૮૪ પોઇન્ટ અથવા તો ૦.૭૪ ટકા ઉછળી ૧૧૪૨૬ની સપાટી પર બંધ રહ્યો હતો. દિવસભરના કારોબારમાં સેંસેક્સ ૩૮૨૫૪ના સ્તર સુધી પહોંચી ગયો હતો જ્યારે ૩૭૭૬૦ના નિચા સ્તર સુધી પહોંચી ગયો હતો. નિફ્ટી ૧૧૪૮૭ અને ૧૧૩૭૦ વચ્ચે રહ્યો હતો. બીએસઈમાં કોટક બેંકના શેરમાં સૌથી વધુ ૪૩૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. અન્ય ઉછાળીમાં રહેલા શેરોમાં ઓએનજીસી ૨.૮૪ ટકા, પારવગ્રિડ ૨.૬૧ ટકા, ટીસીએસ ૨.૫૯ ટકા અને એનટીપીસીના શેરમાં ૨.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે એનએસઇમાં કોટક બેંકના શેરમાં સૌથી વધુ ૪.૬૫ ટકા, આઈઓસીમાં ૩.૨૧ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ૨.૯૪, પાવરગ્રિડમાં ૨.૮૮ ટકા અને વિપ્રોના શેરમાં ૨.૬૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં ઘટાડામાં રહેલા શેરોની વાત કરવામાં આવે તો હિન્દુસ્તાન યુનિલીવરમાં સૌથી વધુ ૨.૨૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. યશ બેંકમાં ૧.૯૨ ટકા, ભારતી એરટેલમાં ૧.૭૧ ટકા, આઈટીસીમાં ૧.૫૨ ટકા અને રિલાયન્સમાં ૧.૩૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં અનેક શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા જેમાં હિન્દુસ્તાન યૂનિલીવરમાં ૨.૦૯ ટકા, યશ બેંકમાં ૧.૯૫ ટકા, રિલાયન્સમાં ૧.૩૩ ટકા, આઈટીસીમાં ૧.૩૨ અને ભારતી એરટેલના શેરમાં ૧.૩૦ ટકાનો સમાવેશ થાય છે. જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે.અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આના માટે જવાબદાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો. રિટેલ ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ચાર માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના પરિણામ સ્વરુપે રિટેલ ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે.

જાન્યુઆરી મહિનામાં ૧.૯૭ ટકાની ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેલો સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૪૪ ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવો ૨.૪૩ ટકા હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ ફુગાવો તેના કરતા પણ વધારે રહ્યો છે. આ ફુગાવો ૨.૫૭ ટકા રહ્યો છે. સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ૦.૬૬ ટકાની નકારાત્મક સપાટીએ રહ્યો હતો. ગઇકાલે શેરબજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયામાં મજબૂતી તથા વિદેશી સંસ્થાક મૂડીરોકાણકારો તરફથી રોકાણ પ્રવાહ જારી રહેતા બેંકના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. બોંબે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના ૩૦ શેર સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ અથવા તો ૦.૫૮ ટકા  ઉછળીને ૩૭૭૫૨.૧૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ શેર નિફ્ટી ૪૦ પોઇન્ટ ઉછળીને ૧૧૩૪૧.૭૦ની સપાટીએ હતો. શેરબજારમાં ગઇકાલે ગુરુવારના દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. છેલ્લા ત્રણ સેશનમાં મજબૂત સુધારો નોંધાયા બાદ ગઇકાલે ગુરુવારના દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રહ્યા હતા. બીએસઈ સેંસેક્સ ૩ પોઇન્ટ ઉછળીને ૩૭૭૫૫ની સપાટીએ રહ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સ ક્રમશઃ ૩૭૯૦૮ અને ૩૭૬૯૪ની સપાટીએ પહોંચ્યા બાદ અંતે ત્રણ પોઇન્ટના સુધારા સાથે બંધ થયો હતો.

(7:50 pm IST)