Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મરાઠી ટેલિવિઝનની અભિનેત્રી કુરાલે જાધવનું અકસ્માતમાં મોત

કોલ્હાપુર શહેર નજીક ટુ-વ્હીલરને ટ્રેક્ટરે ટક્કર મારી : થોડા દિવસ પહેલા પ્રેમાચી ભાકરી નામની હોટલ શરૃ કરી હતી, હોટલમાંથી બહાર નીકળતી વખતે ડમ્પરની ટક્કરે મોત

મુંબઈ, તા.૧૪ : મરાઠી ટેલિવિઝન અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાંગલી-કોલ્હાપુર રોડ પર કોલ્હાપુર શહેર નજીક તેના ટુ-વ્હીલરને ટ્રેક્ટરે ટક્કર મારી હતી. કલ્યાણીએ 'તુજ્જિયાત જીવ રંગાલા' સહિત અનેક સીરિયલ્સમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું.

કલ્યાણીએ થોડા દિવસ પહેલા 'પ્રેમાચી ભાકરી' નામની હોટલ શરૃ કરી હતી. હોટલમાંથી બહાર નીકળતી વખતે ડમ્પરની લપેટમાં આવવાથી તેનું મોત થઈ ગયું હતું.

એક્ટ્રેસના નિધનની ખબરથી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. મરાઠી અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે  'તુજ્જિયાત જીવ રંગાલા'ની ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. આ શોમાં તે રાધાના પાત્રમાં હતી. આ શો ઝી મરાઠી પર પ્રસારિત થયો હતો.

આ શોએ તેને ઘરે-ઘરે ખ્યાતિ અપાવી હતી. તેમનો અભિનય લોકોના દિલને સ્પર્શી ગયો હતો. આ શો બાદ તે બીજા પણ ઘણા શોમાં જોવા મળી હતી. તેણે દખ્ખાંચા રાજા જ્યોતિબામાં પણ પોતાનો અભિનય બતાવ્યો હતો. શો સ્ટાર પ્રવાહ પર આવ્યો હતો.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી અને તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી હતી. કલ્યાણી ઇન્સ્ટા રીલ્સ પણ બનાવતી હતી. તે વીડિયોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો ફેલાવતી હતી. ચાહકો તેના વીડિયો સાથે કનેક્ટ કરતા હતા. કલ્યાણી પોતાની રોજિંદી દિનચર્યાથી સંબંધિત અપડેટ ફેન્સ સાથે શેર કરતી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કલ્યાણી કોલ્હાપુરથી બિલોન્ગ કરતી હતી. તે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પુણે આવી હતી.

 

(7:47 pm IST)