Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ટ્રેકટરની પાછળ એસયુવી ઘુસી ગઈઃ ધડાકાભેર અકસ્માતમાં ત્રણના મોતઃ છ ઘાયલ

જેસલમેર- બાડમેર રોડ ઉપર ભયંકર અકસ્માત :એસયુવીના આગલા ભાગનો કૂરચો બોલી ગયો હતોઃ કારમાં સવાર અમદાવાદના જીગરભાઈ અને રમેશભાઈના મોતઃ પોલીસ તપાસ ચાલુ

જેસલમેરઃ બાડમેર રોડ ઉપર ટ્રેકટર ટ્રોલીની પાછળ એસયુવી ઘુસી જતાં ધડાકાભેર અકસ્માત થતાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે છ લોકો ઘાયલ થયા છે. એસયુવીમાં અમદાવાદથી જેસલમેર જઈ રહ્યા હતા. અકસ્માત સમયે પ્રચંડ ધડાકો થયાનું આસપાસના લોકોએ જણાવેલ.

પ્રાપ્ત વિગતો મુજબ બાડમેર રોડ ઉપર જઈ રહેલ ટ્રેકટર ટ્રોલીની પાછળ એસયુવી કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એસયુવીનો આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. જયારે ટ્રેકટર ટ્રોલી પલ્ટી મારી ગઈ હતી.  ટ્રેકટર ચાલક દેવરામ જાટ (ઉ.વ.૪૦ રહે. ખુડાસા, બાડમેર) તેમજ એસયુવીકારમાં સવાર જીગરભાઈ (ઉ.વ.૫૦ રહે. અમદાવાદ) અને રમેશભાઈ (ઉ.વ.૩૨)ના મોત નિપજયા હતા.

એસયુવીમાં ગુજરાતના અમદાવાદના મુસાફરો બેઠા હતા. જેઓ જેસલમેરના પ્રવાસે જતા હતા. બાબા રામદેવની સમાધિ દર્શને જઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોને જવાહર ચિકિત્સાલયના મોર્ચરી કક્ષામાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(2:58 pm IST)