Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સત્‍યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત કરી શકાતુ નથીઃ સચિન પાયલટે ટ્‍વિર ઉપર હૈયાવરાળ ઠાલવી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ હાલના રાજકીય સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં જણાવ્યું કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સચિન પાયલટે ટ્વિટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજિત કરી શકાતું નથી.

અત્રે જણાવવાનું કે મીડિયા સામે સૂરજેવાલાએ કહ્યું કે 'સચિન પાયલટ અને કોંગ્રેસના કેટલાક મંત્રી તથા વિધાયક સાથીઓ ભાજપના ષડયંત્રમાં ભેરવાઈને કોંગ્રેસની સરકારને પાડવાની કોશિશમાં સામેલ થયાં.' તેમણે કહ્યું કે 'છેલ્લા 72 કલાકથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતૃત્વએ સચિન પાયલટ, સાથી મંત્રીઓ, વિધાયકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી. કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટ સાથે પોતે અડધો ડઝન વખત વાત કરી.' તેમણે કહ્યું કે 'કોંગ્રેસ કાર્યસમિતિના વરિષ્ઠ સભ્યોએ અનેકવાર વાત કરી. અમે અપીલ કરી કે પાયલટ અને બાકી ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે, પાછા ફરો, મતભેદ દૂર કરીશું.'

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે છેલ્લા ચાર દિવસથી કોંગ્રેસ નેતૃત્વએ ખુલ્લા મનથી કહ્યું કે પરિવારનો કોઈ સભ્ય જો ભટકી જાય, સવારનો ભૂલ્યો સાંજે પાછો ફરે તો તે ભૂલ્યો ન કહેવાય તે પરિવારનો સભ્ય જ છે બધી વાત સાંભળવામાં આવશે. દરેક વાતનો ઉકેલ લાવવામાં આવશે. પણ મને ખેદ છે કે સચિન પાયલટ અને તેમના કેટલાક મંત્રી સાથીઓ ભાજપના ષડયંત્રમાં ભટકીને કોંગ્રેસ પાર્ટીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાની કોશિશ કરી રહ્યાં છે જે સ્વીકાર્ય નથી.

આ બાજુ પાયલટને હટાવ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા. તેઓએ રાજ્યપાલને રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવ્યાં અને સચિન પાયલટને તમામ પદેથી હટાવવાના અને મંત્રીઓને પણ હટાવવાના પ્રસ્તાવને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સ્વીકારી લીધા છે. એવું પણ કહેવાય છે કે રાજ્યપાલ સામે વિધાયકોની પરેડ પણ કરાવવામાં આવી શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના ધારાસભ્ય રાજકુમાર રાવતનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ આરેપ લગાવી રહ્યાં છે કે અમને એક પ્રકારે કેદ કરવામાં આવ્યાં છે. અમારી ચારેબાજુ પોલીસનો પહેરો લગાવવામાં આવ્યો છે. અને અમને નીકળવા દેવામાં આવતા નથી.

પાઈલટ ઉપરાંત પર્યટન અને ખાદ્ય મંત્રી પદથી વિશ્વેરસિંહ અને રમેશ મીણાને પણ હટાવવામાં આવ્યાં છે. શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહેશે. હેમસિંહ શેખાવતને રાજસ્થાન પ્રદેશ સેવા દળના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે ગણેશ ગોગરાને યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરાઈ છે.

(4:41 pm IST)