Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ભારત - પાકિસ્તાનના સંબંધો તળીયે પહોંચ્યા છે : કાશ્મીર પ્રશ્ન અમારા માટે સર્વોચ્ચ : ઈમરાન ખાન

બિશ્કેક સંમેલને બંને દેશોને વાતચીત કરવા પ્લેટફોર્મ પૂરૂ પાડ્યુ છે : પ્રચંડ જનમતનો ઉપયોગ કરી કાશ્મીર સહિતના તમામ મતભેદો ઉકેલવા નરેન્દ્રભાઈ પ્રયાસો કરશે તેવી પાક વડાપ્રધાનને શ્રદ્ધા : ૩ યુદ્ધોએ પારાવાર નુકશાન બંને દેશોને પહોંચાડ્યુ છે : આજેય ગરીબીના ભરડામાં છે

બિશ્કેકઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યકત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્રભાઇ મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે.

 ઈમરાન ખાન અને પીએમ નરેન્દ્રભાઇ મોદી બે દિવસના શાંદ્યાઈ સહયોગ સંગઠન (SCO) માટે કિર્ગિઝ ગણરાજયની રાજધાની બિશ્કેકમાં છે. બિશ્કેક માટે રવાના થતા પહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને તેમને બંને પાડોશી દેશો વચ્ચે સંબંધોને વધુ સારા બનાવવા માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાની તક આપી છે.

 ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશોની સાથે પોતાના સંબંધો વિકિસત કરવા માટે એક નવો મંચ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલ ભારત સાથે અમારા દ્વિપક્ષીય સંબંધ કદાચ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.

 ખાને કહ્યું કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા માટે તૈયાર છે અને પોતાના તમામ પાડોશીઓ, ખાસ કરીને ભારત સાથે શાંતિની આશા રાખે છે. તેમણે કહ્યું કે ત્રણ નાના યુદ્ઘોએ બંને દેશોને એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે તેઓ હજુ પણ ગરીબીના ભરડામાં ફસાયેલા છે.

 નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે એસસીઓ સંમેલન સિવાય નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઈમરાન ખાન વચ્ચે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય બેઠકની યોજના નથી. આ બાજુ ખાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બેવાર પત્ર લખીને તમામ મુદ્દાઓ પર સંવાદ બહાલ કરવાની અપીલ કરી છે.

 મોદીએ ગુરુવારે અત્રે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પોતાની વાર્તા દરમિયાન સરહદ પારથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારત વાર્તા બહાલ કરવા માટે આતંક મુકત માહોલ બનાવવાના હેતુથી પાકિસ્તાન દ્વારા નક્કર કાર્યવાહી થાય તેવી આશા રાખે છે.

 ઈમરાન ખાને કહ્યું કે મુખ્ય ભાર શાંતિ બહાલ કરવા ઉપર હોવું જોઈએ અને વાર્તા દ્વારા મતભેદો દૂર કરવા પર હોવું જોઈએ. તેમણે કહ્યું કે  'ભારતની સાથે અમારો મુખ્ય મતભેદ કાશ્મીર (મુદ્દો) છે. અને જો બંને દેશ નિર્ણય લે તો આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે. પરંતુ દુર્ભાગ્યથી અમને (આ મામલે) ભારત તરફથી વધુ સફળતા મળી નથી.'

 ખાને કહ્યું કે 'પરંતુ અમે આશા રાખીએ છીએ કે હાલના વડાપ્રધાન (મોદી) પાસે પ્રચંડ જનાદેશ છે, અમે આશા રાખીએ છીએ કે તેઓ વધુ સારા સંબંધ વિકિસત કરવા અને ઉપમહાદ્વીપમાં શાંતિ જાળવવા માટે તેનો ઉપયોગ કરશે.'

 તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે પૈસાનો ઉપયોગ લોકોને ગરીબીના ભરડામાંથી બહાર કાઢવા માટે થવો જોઈએ. તેમણે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે તેણે પોતાના લાખો લોકોને ગરીબીની નાગચૂડમાંથી બહાર કાઢ્યાં છે.

 ઈમરાન ખાને કહ્યું કે 'અમે આશા રાખીએ છીએ કે ભારત સાથે અમારો તણાવ ઓછો થશે. અમે માનવ વિકાસ પર ધન ખર્ચવા માંગીએ છીએ એટલે અમે હથિયાર નથી ખરીદી રહ્યાં પરંતુ હા...અમે રશિયા પાસેથી હથિયાર ખરીદવાનું વિચારી રહ્યાં છીએ અને હું જાણું છું કે અમારી સેના રશિયાની સેના સાથે સંપર્કમાં છે.'

 ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન રશિયા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સંયુકત સૈન્ય અભિયાસ કરતું આવ્યું છે. આ ઉપરાંત તે રશિયા પાસેથી હથિયારો પણ ખરીદી રહ્યું છે જેણે ભારતને ચિંતામાં મૂકયું છે.

(11:43 am IST)