Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

નોટબંધી મુદ્દે વિચારણા થઇ રહી હતી ત્યારે મેં સરકારને ચેતવણી આપી હતીઃ પૂર્વ ગવર્નર રુઘરામ રાજન

નવી દિલ્‍હીઃ નોટબંધીના દોઢ વર્ષ પછી પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, નોટબંધી મુદ્દે વિચારણા થઇ રહી હતી ત્યારે મેં સરકારને ચેતવણી આપી હતી કે આ પગલાથી કોઇ ફાયદો થવાનો નથી.

કેમ્બ્રિજની હાવર્ડ સ્કૂલમાં રાજને કહ્યું કે, ‘નોટબંધીની યોજના યોગ્ય રીતે નહોતી બનાવાઇ અને આનો કોઇ લાભ પણ નથી મળ્યો. આ વિચાર જ્યારે મારી સમક્ષ રાખવામાં આવ્યો ત્યારે મેં સરકારને મારો મત જણાવ્યો હતો.

નવેમ્બર 2016માં ભારત સરકારે કાળા નાણા પર કાબૂ મેળવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. રાજને કહ્યું કે, જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે માર્કેટમાં કુલ ચલણી નોટોની 87.5 ટકા ચલણી નોટો તો માત્ર 500 અને 1000 રૂપિયાની હતી. કોઇપણ અર્થશાસ્ત્રી એમ કહેશે કે જ્યારે તમે 87.5 ટકા નોટ બંધ કરી રહ્યા છો ત્યારે તમારે ખાતરી કરી લેવી જોઇએ કે તેની આસપાસની નવી નોટ છાપી લો. પરંતુ ભારતમાં આવું કર્યા વિના જ નોટબંધી કરી દેવામાં આવી.

એમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થામાં નકારાત્મક અસર પડી છે. એવો વિચાર હતો કે લોકો કાળુનાણું બહાર કાઢશે, સરકાર પાસે બ્લેક મની જમા કરાવશે અને માફી માંગશે. પરંતુ આવું ન થયું. કોઇપણ વ્યક્તિ જેને ભારત વિશે ખબર છે, તે જાણે છે કે લોકો સિસ્ટમથી બચવાના રસ્તાઓ બહુ જલદી શોધ લે છે. પૂર્વ ગવર્નરે કહ્યું કે, શક્ય છે કે આનો લાંબા ગાળે ફાયદો હોય. સરકાર ભવિષ્યમાં પણ નોટબંધી કરી શકે તેવું વિચારીને લોકો કર ચોરી ન કરે તે બની શકે છે. પરંતુ આવું થયા હોવાના એકેય દાખલા સામે આવ્યા નથી.

રઘુરામ રાજને કહ્યું કે આની નકારાત્મક અસર એ થઇ કે લોકો પાસે ગુજરાન માટે પૈસા જ નહોતા. આર્થિક ગતિવિધિ ઠપ થઇ ગઇ હતી, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં. કેટલાય લોકોની નોકરી ચાલી ગઇ અને અસંગઠિત ક્ષેત્રોમાં હોવાથી નોકરી ગુમાવનાર લોકોની ગણતરી પણ ન થઇ શકી.

(6:02 pm IST)