Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઓ બાપ રે... ૮૧૦૦૦ કરોડ ખર્ચાયા છતાં અડધો અડધ ગ્રામીણ ભારતમાં પીવાનું સ્વચ્છ પાણી નથી

સીએજીનો ચોંકાવનારો રીપોર્ટ : રાષ્ટ્રીય ગ્રામીણ પયજલ કાર્યક્રમ સામે ઉઠાવ્યો સવાલ : પ૬ ટકા વિસ્તારોમાં સ્વચ્છ પાણી મળતુ નથી : ૧પ ટકા સરકારી સ્કુલો-આંગણવાડીઓમાં શુદ્ધ પાણી નથી હોતું

નવી દિલ્હી, તા. ૧૩ : કેગએ રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમને લઇને સવાલ ઉઠાવ્યા છે. કેગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ૧રમી પંચવર્ષીય યોજના હેઠળ વર્ષ ર૦૧૭ સુધીમાં દેશની તમામ ગ્રામીણ વિસ્તારો, વિદ્યાલયો તથા આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવાનું હતું પણ વર્ષ ર૦૧૭ સુધીમાં માત્ર ૪૪ ટકા જ ગ્રામીણ વિસ્તારો અને ૮પ ટકા સરકારી વિદ્યાલયો અને આંગણવાડીઓમાં સ્વચ્છ પાણી ઉપલબ્ધ થઇ શકયું હતું. આ દરમ્યાન ફકટ માત્ર ૧૮ ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ પાઇપ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકયું હતું. વર્ષ ર૦૧ર-ર૦૧૭ દરમ્યાન આ અભિયાન માટે કુલ ૮૧૧૬૮ કરોડનો ખર્ચ થયો. કેગે દેશના અલગ અલગ રાજયોથી પ્રાપ્ત રીપોર્ટના આધારે કહ્યું છે કે અનેક રાજયોએ તો યોજના પણ ખર્ચ કર્યો પણ જમીન સ્તર પર કશું કામ નથી થયું એટલુ જ નહિ અનેક યોજનાઓ શરૂ થઇ જેના પર બજેટ વ્યય પણ થયો પણ આ યોજનાઓ વચમાં જ અધુરી રહી ગઇ હતી.

કેગે જણાવ્યું છે કે, રાજયોએ જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં અનેક વિસંગતતા અને આંકડાના ખેલ છે.

રીપોર્ટ જણાવે છે કે, પ૬ ટકા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ૧પ ટકા સરકારી સ્કૂલ તથા આંગણવાડીઓમાં પણ સ્વચ્છ પાણી નથી.

નીતિ આયોગે પણ કહ્યું છે કે, ૬૦ કરોડ ભારતીયો પાણીની અછતનો સામનો કરે છે. ર લાખ લોકોના મોત ગંદુ પાણી પીવાથી થાય છે.

કેગને રિપોર્ટ  જણાવે છે કે, રાજસ્થાન, છત્તીસગઢ, મ.પ્રદેશમાં સ્થિતિ ભયાનક છે. કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવતા ખરાબ હતી. રાજસ્થાનના ૮૭ ગામોમાંથી ૬ર માં પીવા યોગ્ય પાણી છે તો મ.પ્રદેશમાં ૧૭૬માંથી ૧૬૬, છત્તીસગઢમાં ૧૧૩માં ૧૦૬ વિસ્તારોમાં પાણી પીવા યોગ્ય છે. (૮.૪)

(9:17 am IST)