Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કેરળ જળતાંડવ : પરિસ્થિતિ વિકટ હોવાની રાજનાથ સિંહની કબૂલાત

ભારે વરસાદના પરિણામ સ્વરુપે બચાવ-રાહત કામગીરીને અસર : મૃતાંક વધીને ૩૯ : અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત : ૬૦૦૦૦થી પણ વધુ લોકો રાહત કેમ્પમાં : રાજનાથ દ્વારા બે જિલ્લાઓમાં હવાઈ નિરીક્ષણ

કોચી,તા. ૧૨ : કેરળમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. જળતાંડવની સ્થિતિ વચ્ચે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ આજે ફરી એકવાર જોરદાર વરસાદના પરિણામ સ્વરુપે રાહત કામગીરી ઉપર અસર થઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પુરપ્રભાવિત બે જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ કબૂલાત કરી હતી કે, સ્થિતિ ખુબ જ વિકટ બનેલી છે પરંતુ તમામ પ્રકારની મદદ રાજ્ય સરકારને કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. ઇડુક્કી અને ઇર્નાકુલમ જિલ્લાના હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ વિમાની મથકે પત્રકારો સાથે વાતચીત કરતા રાજનાથસિંહ કહ્યું હતું કે, અભૂતપૂર્વ પૂરના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં રાજ્ય સરકારને પુરતી સહાયતા આપવામાં આવશે. બીજી બાજુ કેરળમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુર અને વરસાદથી મોતનો આંકડો વધીને ૩૯ સુધી પહોંચી ગયો છે. ૮મી ઓગસ્ટથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાહત કેમ્પમાં ૬૦૦૦૦થી વધુ લોકો આસરો લઇ રહ્યા છે. વાયનાડમાં સૌથી વધુ કફોડી હાલત બની છે. અહીં ૧૪૦૦૦ લોકો રાહત છાવણીમાં છે. નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હવે ધીમીગતિએ ઘટી રહી છે પરંતુ હાલત ખુબ જ કફોડી થઇ છે. નવેસરથી કોઇ ખુવારી થઇ નથી પરંતુ હાલત અભૂતપૂર્વ થયેલી છે. જ્યાં સ્થિતિમાં સુધારો થયો છે ત્યા લોકો ઘટનાસ્થળે પોતાના આવાસ પર પરત ફરી રહ્યા છે. બીજી બાજુ રાહત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રોકાયેલા છે. ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ધીમીગતિએ ઘટી રહી છે. એશિયામાં સૌથી મોટા બંધ તરીકે તેને ગણવામાં આવે છે. ૨૬ વર્ષના ગાળા બાદ તેના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. હજુ પણ પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર રહેલી છે. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦થી વધુ પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઓ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારેવરસાદના પરિણામ સ્વરુપેઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

(7:49 pm IST)