Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રામમંદિરના નિર્માણ વિના લોકસભા ચૂંટણી, ભાજપ માટે આપઘાતજનક ગણાશેઃ સ્વામીનું મંતવ્‍ય

નવી દિલ્‍હી : દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રામ મંદિરના નિર્માણનો મુદ્દો ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. જો કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી સત્તાધીશ ભાજપ અને વિપક્ષ સમજી વિચારીને આગળ વધી રહ્યાં છે. ખુદ વડાપ્રધાન મોદીએ પણ તાજેતરમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, અયોધ્યા વિવાદનો ઉકેલ કોર્ટ દ્વારા જ આવશે. આ મામલે અમે કોઈ પહેલ કરવા માંગતા નથી. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ જણાવ્યું કે, અમે રામ મંદિરના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ. જો કે કોંગ્રેસ કોર્ટની કાર્યવાહીમાં અડચણો ઉભી કરે છે.

આ અંગે સુરતની ગ્લોબલ ઇન્વેસ્ટર કોંફરન્સમાં હાજરી આપવા આવેલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 2019ની ચૂંટણી રામ મંદિર મુદ્દે જ લડાશે. રામ મંદિરના નિર્માણ વિના ચૂંટણીમાં ઉતરવું ભાજપ માટે આપઘાત સમાન હશે. ભાજપે આ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાની જરૂરત નથી.

આ ઉપરાંત મહાગઠબંધનને આડેહાથ લેતા જણાવ્યું કે, તે જાતિવાદી રાજકારણનો એક ભાગ છે. આથી ભાજપે તેનાથી દૂર રહેવું જોઈએ. CBI વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા સ્વામીએ જણાવ્યું કે, આલોક વર્માને CBI ચીફના પદ પરથી હટાવવા અન્યાય છે.

(12:15 pm IST)