Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કોરોના વેકસીન

૧ કેન્દ્રમાં રોજ ૧૦૦ લોકોને અપાશે વેકસીન

રસીકરણ કેન્દ્રમાં ૫ લોકો હશે : ઓબ્ઝર્વેશન રૂમ પણ ઉભા કરાશે

નવી દિલ્હી તા. ૧૨ : દેશમાં મોટા પાયે કોરોના રસીકરણની તૈયારી કરવામાં આવી રહી છે. સરકાર પોતાના સ્તરે આ માટે વિસ્તૃત યોજના ઘડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રસીકરણ કેન્દ્રમાં ૫ લોકોને તહેનાત કરવામાં આવશે. વળી, રસીનો પ્રથમ ડોઝ મળ્યા બાદ કોઈ પણ પ્રતિકૂળ અસરની આશંકાને ધ્યાનમાં રાખીને ઓબ્ઝર્વેશન રૂમને પણ તૈયાર કરવામાં આવશે.

એક અંદાજ મુજબ દરેક રસીકરણ કેન્દ્રમાં એક દિવસમાં લગભગ ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ પ્રારંભ થયાના થોડા સમય બાદ સરકાર તેને ઝડપી બનાવવા માટે કોમ્યુનિટી હોલ અને તંબુઓની પણ વ્યવસ્થા કરશે. આવી દરેક જગ્યા જયાં કોરોના રસી આપવામાં આવશે તેને સામાન્ય રસીકરણ કેન્દ્રો કરતાં વધુ જગ્યાની જરૂર પડશે.

ઉપરોકત માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP)ના મુસદ્દા તરીકે રાજયો સાથે વહેંચવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અનુસાર દરેક રસીકરણ કેન્દ્રમાં એક ચોકીદાર સહિત ૫ વ્યકિતઓને તહેનાત કરવામાં આવશે. અને ૩ રૂમ વેઇટિંગ, રસીકરણ અને નિરીક્ષણ માટે હશે.

રસીકરણની કોઈ પણ પ્રતિકૂળ અસરની આશંકાને ધ્યાનમાં રાખીને રસી લેનાર દરેક વ્યકિત પર ૩૦ મિનિટ સુધી નજર રાખવામાં આવશે. જો કોઈ ગંભીર અસર થશે તો લોકોને નજીકની નિશ્યિત કરવામાં આવેલ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવશે.

કેન્દ્રના વર્કશોપમાં હાજર રહેલા રસીકરણ અધિકારી ડો. રજની એનએ જણાવ્યું હતું કે, સામાજિક અંતરના નિયમોનું પાલનને ધ્યાનમાં રાખીને રસીકરણ માટે ૩ રૂમ અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો. રજનીએ વધુમાં જણાવ્યું કે, રસીકરણની દરેક સાઇટ પર ચાર અધિકારીઓ રહેશે. અહીં નિયુકત કરવામાં આવેલ ચોકીદારની જવાબદારી યાદીમાં લાભાર્થીઓના નામ ચકાસવાની રહેશે અને કોવિડ-યોગ્ય વર્તણૂક સુનિશ્ચિત કરવાની રહેશે. અન્ય અધિકારીઓ સરકારી આઈ.ડી.ની તપાસ કરશે, ક્રોસ રેફરન્સ માટે CO-WIN માં તેમનો ડેટા ક્રોસ વેરિફિકેશન કરી લાભાર્થીનું નામ સુનિશ્ચિત કરશે, જો પુરુષ રસીકરણ કર્મચારી ફરજ પર હોય તેની સાથે મહિલા અટેન્ડન્ટ અધિકારીની પણ નિયુકિત કરવામાં આવશે જેથી સુરક્ષિત રીતે ઇન્જેકશન આપવાની પ્રક્રિયાનું પાલન થાય અને સાથે સાથે રસીકરણ બાદ બાયોવેસ્ટ કચરાનું સંચાલન કરવામાં મદદરુપ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

રસીકરણ રૂમમાં એકવારમાં એક જ વ્યકિતને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, વેઇટિંગ અને મોનિટરિંગ રૂમમાં એક સાથે ઘણા લોકોને બેસવાની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઘણા દેશોએ વિવિધ કંપનીઓની કોરોના રસીના કટોકટીના સમયે ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં કોરોના રસીના આપાતકાલીન ઉપયોગને આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં મંજૂરી મળી શકે છે.

(11:34 am IST)