Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કોંગ્રેસ ખતમ થઇ ગઇ હોય તો ભાષણનો ૫૦ ટકા સમય કેમ મોદી કોંગ્રેસને ફાળવે છે?: રાહુલ

રાહુલ ગાંધીનો વેધક સવાલઃ મોદી પર કર્યો કટાક્ષઃ વ્યકત કર્યો જીતનો વિશ્વાસ

નવી દિલ્હી તા. ૧૨ : ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ ખુશીની લહેર દોડી ગઈ હતી, રાહુલ ગાંધી જેઓ હાલ કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતમાં જાહેરસભા અને રેલીઓ સંબોધી રહ્યા છે તેમને પક્ષના અધ્યક્ષ તરીકે નિમાયા છે. જો કે તેમણે આ પદભાર આધિકારીકપણે સંભાળ્યો નથી. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ સોમવારે યોજાયેલી રેલી દરમિયાન તેમની નિમણૂક વિશે ઉજવણી કરી હતી.

ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના ચૂંટણી પ્રચાર બાબતે ઘેરવાનું ચાલુ રાખ્યું હતું. વિરમગામથીથી સંબોધન આપતા તેમણે કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી દાવો કરે છે કે કોંગ્રેસ ગુજરાતમાં ખતમ થઈ ચૂકી છે, તો પછી કેમ તેઓ પોતાના ભાષણનો ૫૦ ટકા સમય કોંગ્રેસને ફાળવે છે? આ બાબતથી સ્પષ્ટ છે કે તેમની પાસે વાત કરવા માટે મુદ્દો જ નથી'તેમણે PMને ગુજરાતના લોકો અને ખેડૂતો માટે બે મિનિટ ફાળવવાનું પણ કહ્યું હતું. આગળ વાત કરતા તેમણે કહ્યું કે, PM ચીન અને પાકિસ્તાનની વાત કરે છે. આ ગુજરાતની ચૂંટણી છે તેમણે ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ અને અહીંના યુવાનોના ભવિષ્ય વિશે વાત કરવી જોઈએ.

ગાંધીનગરમાં તેમણે 'વિકાસ ગાંડો થયો છે' મીમ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, 'નર્મદા અને OBC મુદ્દે ભાજપે ઘણી ભૂલો કરી છે, પક્ષે વિકાસને મુદ્દો બનાવવાનો વિચાર કર્યો પરંતુ તેના બીજા જ દિવસે યાત્રા ફલોપ થઈ ગઈ.' થરાદમાં રાહુલ ગાંધીએ આ સ્થળ સાથે પોતાના પરિવારના સંબંધ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 'ઈંદિરા અને રાજીવ ગાંધી બન્ને થરાદની મુલાકાત અગાઉ લઈ ચૂકયા છે.' આ સિવાય તેમણે જાહેરસભામાં હાજર લોકોને વાયદો કર્યો કે તેઓ ગુજરાતમાંથી જયારે પણ તેમને બોલાવવામાં આવશે તેઓ હાજર થઈ જશે, કારણકે તેમને છેલ્લા ૩ માસમાં ગુજરાતમા ઘણો પ્રેમ મળ્યો છે.

રાહુલ ગાંધીએ તેમની તમામ જનસભાઓમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે NDAએ ૧.૩૦ લાખ કરોડના દેવા માફ કર્યા છે પરંતુ તેમની નીતિને ટાંકીને ખેડૂતોના દેવા માફ કરવાનું ના પાડી દીધું છે. તેમણે કહ્યું કે, 'UPA સરકાર દ્વારા ખેડૂતોના ૭૦ હજાર કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ૧૦ દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવા અંગેની પોલિસી રજૂ કરીશું.' તેમણે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ કયારેય PM માટે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરે કારણ કે તે પદનું સન્માન કરે છે. જો કે PM મોદી મારા વિશે ગમે તેવું બોલે તેવી તેમને છૂટ છે. હું તેમની વિશે સન્માન અને પ્રેમથી જ વાત કરીશ. પરંતુ હું સત્ય બોલીશ.'

(12:15 pm IST)