Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બાય બાય ૨૦૧૭- વેલકમ ૨૦૧૮ની ઉજવણીનો થનગનાટ

નોટબંધીના આઘાતમાંથી બહાર ભારતીયોઃ ક્રિસમસના બુકિંગ ફુલ થશેઃ ૪૦ થી ૫૦ ટકા પર્યટકો વધવાની આશા

નવી દિલ્હી, તા. ૧૨ :. ગયા વર્ષની નોટબંધીના આંચકાને પાછળ છોડીને વધુને વધુ ભારતીયો આ વર્ષે નવા વર્ષની ઉજવણી કરવા સજ્જ છે. ટ્રાવેલ પોર્ટલ્સના જણાવ્યા પ્રમાણે નવા વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઉંચી હશે. ગયા વર્ષની સરખામણીમં તેમા ૪૦ થી ૫૦ ટકા વધારો થશે.

 

ગોવા, ઉદયપુર, જેસલમેર અને મનાલીના સૌથી વધારે બુકીંગ થયા છે. આંતરરાષ્ટ્રીય સ્થળોમાં થાઈલેન્ડ, સિંગાપોર, દુબઈને મહત્તમ પસંદ કરવામાં આવ્યા છે. યાત્રાડોટકોમે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં બુકીંગની પૂછપરછમાં ૪૩ ટકા વધારો નોંધાવ્યો છે જ્યારે સ્થાનિક પર્યટન માટેની ઈન્કવાયરી ૬૬ ટકા વધી છે. યાત્રાડોટકોમના સીઓઓ (બીટુસી) શરત ઢાલે જણાવ્યું કે, 'આ ટ્રેન્ડ બહુ મજબુત જણાય છે અને આ સમયગાળામાં પર્યટન નોંધપાત્ર પ્રમાણમાં ઉંચુ રહેશે. મેટ્રો શહેરોની આસપાસ હરવાફરવાના અનેક સ્થળોએ ક્રિસમસ દરમિયાન હોટેલ બુકીંગ ફુલ રહેવાની શકયતા છે.' મેક માય ટ્રિપે જણાવ્યું કે, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન પર્યટન પર જવાનું આયોજન ધરાવતા ભારતીયોની સંખ્યામાં ૩૯ ટકા વધારો થયો છે. સ્થાનિક સ્તરે ગોવા, ઉદયપુર, જેસલમેર અને મનાલીની વધુ ડિમાન્ડ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળોમાં થાઈલેન્ડ, મલેશિયા અને દુબઈ, મલેશિયા અને લંડનને વધારે પસંદ કરવામાં આવે છે તેમ મેક માય ટ્રિપના સીઓઓ ઓનલાઈન મોહિત ગુપ્તાએ જણાવ્યું હતું. ટ્રાવેલ ટેકનોલોજી  પ્લેટફોર્મ ગુમોના સીઈઓ વરૂણ ગુપ્તાએ કહ્યું કે ચાલુ વર્ષે દિવાળી, ક્રિસમસ, નવા વર્ષ અને ઉનાળાના વેકેશન અગાઉ ગ્રાહકોએ ઘણું વહેલુ આયોજન કરી લીધુ છે.

હવે ડિપાર્ચર અગાઉ માત્ર ૭ થી ૧૦ ટકા જેટલું ફલાઈટ બુકીંગ થવાની શકયતા છે. ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવેલી નોટબંધીની કવાયતમાં કેટલાક ભારતીય પર્યટકોની યોજના પર પાણી ફરી વળ્યું હતું અને તેઓ રજાઓ માણવા જઈ શકયા ન હતા. ગુપ્તાએ કહ્યું કે નીતિમાં વિવિધ ફેરફાર થવા છતાં ભારતમાં ટ્રાવેલ અને ટુરીઝમ અને ટુરીઝમ સેકટર આગામી કેટલાક વર્ષમાં ૩૦ અબજ ડોલરથી વધીને ૫૦ અબજ ડોલર થવાની શકયતા છે. ભારતનો સમૃદ્ધ મધ્યમ વર્ગ અને લોકોની વધતી આવકથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને ઉત્તેજન મળ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો અને વધુ સારી કનેકિટવિટીના કારણે ભારતમાં બહારથી આવતા પ્રવાસીઓનો ટ્રાફીક પણ ઘણો વધવાની શકયતા છે. કિલયર ટ્રીપના ચીફ માર્કેટીંગ ઓફિસર અને પ્રોડકટ હેડ સુબ્રમણ્ય શર્માએ જણાવ્યું કે મેટ્રો આધારીત ટ્રાવેલર્સમાં શિયાળુ પર્યટનમાં વધારો થયો છે. તેમા હૈદરાબાદ અને બેંગલુરૂ અગ્રેસર છે જેમાં  બુકીંગમાં ૬૦ ટકા વૃદ્ધિ થઈ છે.(૨-૧)

 

(9:46 am IST)