Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

શાહરૂખ ખાને આર્યન ખાન માટે પોતાનો બોડીગાર્ડ રવિસિંહ જ રાખી લીધોઃ હવે કિંગ ખાન પોતાના માટે નવો બોડીગાર્ડ શોધશે

દર શુક્રવારે એનસીબીની ઓફિસે બોડીગાર્ડ સાથે જશે

નવી દિલ્હી: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસે શાહરૂખ ખાન એન્ડ ફેમિલીને હચમચાવી મૂક્યો છે. આ મામલે શાહરૂખ ખાનના લાડકા પુત્ર આર્યન ખાને લગભગ 28 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડ્યું અને પછી 30 ઓક્ટોબરે તેનો જેલમાંથી છૂટકારો થયો. આર્યન ખાન ત્યારબાદ મન્નત પહોંચ્યો. આર્યન ખાનના મન્નત પાછા ફર્યા બાદ ઘરમાં ફરીથી રોનક પાછી ફરી છે પરંતુ હજુ પણ ઘરમાં બધુ ઠીક નથી. પાછા ફર્યા બાદ આર્યન ખાન ઊંડા આઘાતમાં સરી પડ્યો છે અને આ સમગ્ર ઘટનાએ તેને અંદર સુધી હચમચાવી દીધો છે.

સમગ્ર મામલાથી આર્યન ખાન એટલો પરેશાન છે કે તે તેના મિત્રોને પણ મળતો નથી. આ બધાને લીધે ગૌરી ખાન અને શાહરૂખ ખાન પણ પોતાના લાડકા પુત્રને લઈને એકદમ સજાગ થઈ ગયા છે. શાહરૂખ ખાને તેના અપકમિંગ પ્રોજેક્ટ્સથી હાલ થોડો આરામ લીધો હતો અને તેણે તેના પુત્ર સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું. હવે શાહરૂખ ખાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પોતાના કામ પર પાછા ફરશે. આ બધા વચ્ચે શાહરૂખ ખાનને પુત્ર આર્યન ખાનની ચિંતા સતાવી રહી છે. પહેલા ખબરો હતી કે શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાન માટે એક નવો બોડીગાર્ડ શોધી રહ્યો છે પરંતુ હવે ખબરો થોડી હટકે આવી રહી છે.

એવા સમાચાર છે કે શાહરૂખ ખાને આર્યન ખાન માટે પોતાનો બોડીગાર્ડ રવિ સિંહ જ રાખી દીધો છે અને હવે પોતાના માટે નવો બોડીગાર્ડ શોધશે. કિંગ ખાનના પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે 'આર્યન ખાન કોઈ નવા વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ થઈ શકશે નહીં. તે રવિ સિંહને વર્ષોથી જાણે છે અને બંને વચ્ચે સારો સંબંધ છે. આ કેસમાં આર્યને દર શુક્રવારે એનસીબીની ઓફિસ જવાનું છે. બની શકે કે એજન્સીઓ આગળ પણ સમન પાઠવીને આર્યન ખાનને બોલાવે. આવામાં શાહરૂખ ખાનને લાગ્યું છે કે તેણે કોઈ વિશ્વાસું વ્યક્તિને જ આર્યન ખાનનું ધ્યાન રાખવા માટે રાખવો જોઈએ.'

(5:21 pm IST)