Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મહારાષ્ટ્ર પોલીસને કરી ફરિયાદ

મારી પર નજર રાખવામાં આવી રહી છે : સમીર વાનખેડે

સાદા વસ્ત્રોમાં મુંબઇ પોલીસના બે કર્મચારીઓ ફોલો કરી રહ્યા છે

મુંબઇ,તા. ૧૨: તાજેતરમાં કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડીને પ્રસિદ્ઘિમાં આવેલા NCB ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્ર પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમના પર ગેરકાયદેસર રીતે નજર રાખવામાં આવી રહી છે. NCBના સૂત્રોએ જણાવ્યું હતું કે વાનખેડે ને સાદા વસ્ત્રોમાં મુંબઈ પોલીસના બે કર્મચારીઓ ફોલો કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓશિવારા પોલીસના બે પોલીસકર્મીઓ પણ સ્મશાન ગયા હતા જયાંથી તેઓએ વાનખેડેની હિલચાલને શોધવા માટે સીસીટીવી ફૂટેજ લીધા છે. વર્ષ ૨૦૧૫ માં વાનખેડેની માતાનું અવસાન થયું અને ત્યારથી તેઓ હંમેશા કબ્રસ્તાનની મુલાકાત લેતા આવ્યા છે.

આ સંદર્ભે, વાનખેડેએ મહારાષ્ટ્ર પોલીસને તેમની ફરિયાદ સાથે એક સીસીટીવી ફૂટેજ જોડ્યા છે. નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓ સર્વેલન્સને લઈને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પણ મળ્યા છે.

૨ ઓકટોબરે, કોર્ડેલિયા ક્રૂઝ પર NCB ના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડેની આગેવાની હેઠળની એજન્સીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે દરોડામાં ડ્રગ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત કુલ ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ દરોડા બાદ મહારાષ્ટ્ર સરકારમાં સમાવિષ્ટ શરદ પવારની પાર્ટી NCP એ એનસીબી પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દાવો કર્યો હતો કે આ દરોડો બનાવટી હતો અને તેમાં ભાજપના નેતાઓ સહિત ઘણા બહારના લોકો સામેલ હતા.

એટલું જ નહીં, મલિકે આરોપ લગાવ્યો છે કે NCB એ શરૂઆતમાં જહાજમાંથી ૧૧ લોકોની અટકાયત કરી હતી પરંતુ તેમાંથી ત્રણને છોડી દીધા હતા, જેમાં ભાજપના નેતા મોહિત ભારતીના નજીકના સંબંધીને પણ થોડા કલાકોમાં છોડી દીધો હતો. એનસીપી નેતાએ કહ્યું કે સમીર વાનખેડેના કોલ રેકોર્ડ્સ તપાસવા જોઈએ.

(10:33 am IST)